गुजरात

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers and Women Protest Unauthorized Pipeline Work in Sanand Village



Pipeline Project In Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે તંત્ર અને ખેડૂતો સામસામે આવી જતાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના, વળતર ચૂકવ્યા વિના કે તેમની મંજૂરી લીધા વગર જ ખેતરોમાં પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાતા વિવાદ વકર્યો છે. આ કામગીરી સામે રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓએ એકઠા થઈને સિંચાઈ વિભાગની કામગીરી અટકાવી દીધી હતી. ઘટનાને પગલે સાણંદ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ખેડૂતોનો ગંભીર આક્ષેપ

મળતી માહિતી અનુસાર, સિંચાઈ વિભાગની કામગીરીનો વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. જેને પગલે આક્રોશિત ખેડૂતોએ પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, અમે પોતાના હક અને ફળદ્રુપ જમીન બચાવવા માટે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છીએ, છતાં પોલીસ અમારી સાથે એવું વર્તન કરી રહી છે જાણે અમે કોઈ આતંકી હોઈએ. પોલીસના આ પ્રકારના દમનકારી વલણને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ ખેડૂતોનો વિરોધ

વળતર અને નોટિસ વિના જમીન પચાવી પાડવાનો પ્રયાસ

સાણંદ સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા ઘણાં દિવસોથી ડરણ ગામના ખેતરોમાંથી પાઇપલાઇન પસાર કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. નિયમ મુજબ કોઈપણ ખાનગી જમીનમાંથી સરકારી લાઈન પસાર કરવાની હોય તો ખેડૂતોને કાયદેસરની નોટિસ આપી વળતર નક્કી કરવાનું હોય છે. પરંતુ તંત્રએ આવી કોઈ તકેદારી રાખ્યા વિના સીધું જ જેસીબી ફેરવી કામ શરૂ કરી દેતા ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

ફળદ્રુપ જમીન નકામી થવાની ખેડૂતોને ભીતિ

પોતાની આજીવિકા સમાન જમીનને લઈને ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જો ખેતરોની વચોવચ આ પાઇપલાઇન નાખવામાં આવશે તો વર્ષો જૂની ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થશે. ભવિષ્યમાં આ જમીન પર કોઈ પાક લઈ શકાશે નહીં કે જમીનનો અન્ય કોઈ વિકાસાત્મક ઉપયોગ કરી શકાશે નહીં. જમીન કાયમ માટે નકામી થઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી યોગ્ય વળતર અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ કોઈપણ સંજોગોમાં પાઇપલાઇનનું કામ આગળ વધવા દેશે નહીં.



Source link

Related Articles

Back to top button