અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા | ahmedabad geetamandir gas agency cylinder blast

Ahmedabad Geetamandir Gas Agency Cylinder Blast: અમદાવાદના ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમે 70 જેટલા બાટલા બહાર કાઢી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ધટનામાં 3 લોકો દાઝ્યા હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે ગેસ એજન્સીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ ભીષણ આગ લાગી હતી. આગ લાગવાના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ધટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આગ લાગવાના કારણે કેટલાક વાહનો બળીને ખાખ થયા હોવાનું જણાય છે.

