राष्ट्रीय

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka MLC Election Results Congress Wins 5 Seats BJP Gets 2 After Cross Voting Blunder




Karnataka MLC election results: કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. આ ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિના જોરે પાંચ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે ભાજપના ફાળે બે બેઠકો આવી છે. મતદાનમાં તમામ 222 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ડી. કે. શિવકુમારનો માસ્ટરસ્ટ્રોક: ભાજપના ધારાસભ્યોની ક્રોસ વોટિંગ

આ ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે વિપક્ષી ખેમામાં મોટું ગાબડું પાડ્યું. ભાજપમાંથી હાંકી કઢાયેલા ત્રણ ધારાસભ્યોમાંથી બે- એસ. ટી. સોમશેખર અને શિવરામ હેબ્બાર પાસે કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કરાવવામાં આવ્યું હતું. મતદાન પૂર્ણ થયા બાદ બંને ધારાસભ્યોએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે તેમણે પોતાના અંતરાત્માના અવાજ પર કોંગ્રેસને વોટ આપ્યો છે. આ બંને નેતાઓ મતદાનના આગલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા હતા ત્યાં પણ જોવા મળ્યા હતા.

જીતવા માટે 28 મતોનું ગણિત અને સંખ્યાબળ

નિયમો મુજબ, વિધાન પરિષદની ચૂંટણી જીતવા માટે પ્રત્યેક ઉમેદવારને ઓછામાં ઓછા 28 મતોની જરૂર હતી. વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાના આધારે કોંગ્રેસ ચાર અને ભાજપ બે બેઠકો સરળતાથી જીતી શકે તેમ હતી. પરંતુ કોંગ્રેસે પાંચમી બેઠક પર પણ પોતાનો ઉમેદવાર ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી હતી. સાતમી બેઠક માટે કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચે સીધી ટક્કર હતી, જેમાં અંતે કોંગ્રેસે બાજી મારી લીધી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી થિપ્પન્નપ્પા કામકનૂર, પી. વી. મોહન, બી. કે. હરિપ્રસાદ, શિવન્ના બી એસ અને વિનય કાર્તિક પ્રકાશ જેવા નેતાઓ મેદાનમાં હતા.

‘અંતરાત્માના અવાજ’ પાછળનું અસલી કારણ

કોંગ્રેસને વોટ આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં એસ.ટી. સોમશેખરે જણાવ્યું હતું કે, તેમણે પોતાના મતવિસ્તારના વિકાસના હિતમાં આ નિર્ણય લીધો છે. તેમણે એક મહત્ત્વનો ખુલાસો કરતા કહ્યું કે, ભાજપ કે જેડી(એસ)માંથી કોઈએ પણ તેમનો સંપર્ક કરીને વોટ નહોતો માંગ્યો, જ્યારે મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે તેમને ફોન કરીને રિસોર્ટની બેઠકમાં બોલાવ્યા હતા અને સમર્થન માંગ્યું હતું. બીજી તરફ, ભાજપમાંથી હાંકી કઢાયેલા ત્રીજા ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યતનાલે ભાજપના નિર્દેશો મુજબ જ વોટ આપ્યો હતો. જ્યારે જેડી(એસ)ના વરિષ્ઠ ધારાસભ્ય જી.ટી. દેવેગૌડાએ પણ પક્ષના અન્ય ધારાસભ્યોથી અલગ આવીને વોટ આપતા રાજકીય અટકળો તેજ થઈ છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર ટેલીગ્રામના 15 કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે : હાઇકોર્ટ

મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે શું કહ્યું?

આ સમગ્ર રાજકીય ઉલટફેર પર મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે મીડિયા સમક્ષ જણાવ્યું કે કોંગ્રેસે કોઈ ખાસ વ્યૂહનીતિ અપનાવી નથી. તેમણે ક્રોસ વોટિંગ અંગેની કોઈ જાણકારી હોવાનો પણ ઈનકાર કર્યો હતો. શિવકુમારે ઉમેર્યું કે ધારાસભ્યો સમઝદાર અને જનતાના પ્રતિનિધિ છે, તેમને કોઈ વ્યૂહરચના શીખવવાની જરૂર હોતી નથી. કોંગ્રેસે માત્ર પોતાના ધારાસભ્યો સાથે ચર્ચા કરી હતી અને પ્રથમ વખત વોટ આપતા સભ્યોને મતદાન પ્રક્રિયાની સાચી માહિતી આપી હતી.

નોંધનીય છે કે, વિધાન પરિષદના સાત સભ્યોનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો હોવાથી આ ચૂંટણી યોજવી અનિવાર્ય બની હતી. મતદાન કરનારા અગ્રણી નેતાઓમાં મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા અને વિપક્ષના નેતા આર. અશોક સામેલ હતા.



Source link

Related Articles

Back to top button