બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુરક્ષા દીવાલ ભક્તો માટે જોખમી | Danger of wall collapse at Pora temple

![]()
વડોદરા, તા.18 વડોદરા તાલુકાના પોર ખાતેના પવિત્ર યાત્રાધામ બળિયાદેવ મંદિરની પરિક્રમાની સુરક્ષા દીવાલ તૂટી જવાની ઘટનાને એક વર્ષથી પણ વધુ સમય થયો હોવા છતાં તેનું રિપેરિંગ કામ નહી થતાં શ્રધ્ધાળુઓના જીવને જોખમ ઊભું થયું છે. પોરમાં વારંવાર પૂર આવતું હોવાથી આ વખતે પણ જો આવી સ્થિતિનું નિર્માણ થાય તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થશે.
પોર ગામ ખાતે પાણીની ટાંકી બનાવવા માટે પાયો ખોદવાની કામગીરી દરમિયાન શ્રી બળિયાદેવ મંદિરની પરિક્રમાની સુરક્ષા દીવાલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં તંત્ર દ્વારા સમારકામની કોઇ કામગીરી કરવામાં આવી નથી. કોરોના મહામારી પહેલાં અંદાજે રૃા.૫.૬૦ કરોડના ખર્ચે મંદિરના વિકાસકાર્યનો પ્રારંભ કરાયો હતો.
તે સમયે મળેલી મંજૂરી બાદ હાલ સુરક્ષા દીવાલની અવગણના થવાથી આ સમગ્ર વિકાસકાર્ય પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સુરક્ષા દીવાલનું વહેલી તકે મજબૂત સમારકામ કરવામાં નહીં આવે તો વરસાદી તુ દરમિયાન મંદિરની દક્ષિણ બાજુની દીવાલ ધોવાઈને ધરાશાયી થવાનો ભય છે. ચોમાસાની તુ શરૃ થવા જઈ રહી છે અને દર વર્ષે ત્રણથી ચાર વખત મોટું પૂર આવતું હોવાથી તૂટેલી દિવાલ સુધી પાણી પહોંચી જાય છે.
આ સમગ્ર પરિસ્થિતિની જાણ તંત્રને કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે મંદિરની સુરક્ષા તેમજ સ્થાનિક લોકોની જાનમાલની સલામતી અંગે પ્રશ્નો ઊભા થયા છે. સુરક્ષા દીવાલનું મજબૂત સમારકામ થાય તો જાનહાનિ અને મંદિરને થનારા નુકસાનને અટકાવી શકાય.



