વાવ-થરાદમાં શિક્ષણ કાર્ય ખાડે: જિલ્લામાં 1000 શિક્ષકોની ઘટ, લાંબા અંતરના અપડાઉનથી 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય! | teacher shortage affects students in vav tharad

![]()
Teacher Shortage In Vav Tharad: રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા માટે કરવામાં આવતી મોટી-મોટી જાહેરાતો અને દાવાઓની પોલ સરહદી વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. વાવ-થરાદ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ કાર્ય હાલમાં ઝીરો લેવલ પર પહોંચી ગયું હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. અહીંના ભૌગોલિક અને વહીવટી પ્રશ્નોના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.
વાવ-થરાદમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ
નવરચિત વાવ-થરાદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં અંદાજે દોઢ લાખ 1,50,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નિયમ અને મહેકમ પ્રમાણે, શિક્ષકોની જરૂરિયાત સામે વર્તમાન સ્થિતિએ જિલ્લામાં અંદાજે 1000 શિક્ષકોની મોટી ઘટ વર્તાઈ રહી છે. જેના કારણે બાળકોનો અભ્યાસ રામભરોસે ચાલી રહ્યો છે. બીજી બાજુ થોડા મહિનાઓ અગાઉ જિલ્લાઓનું વિભાજન થતાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને સ્થળ પસંદગી માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રક્રિયા અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાંથી 400 જેટલા શિક્ષકોએ અન્ય જિલ્લાઓમાં જવા માટે બદલીની માગ કરી હતી. જો કે, આ 400 શિક્ષકોની બદલી મંજૂર થઈ હોવા છતાં પછાત વિસ્તારમાં શિક્ષકોની ઘટ હોવાથી વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી તેમને છૂટા કરવામાં આવ્યા નથી જેથી શિક્ષકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આવી સ્થિતિ વચ્ચે સહરદી વિસ્તારના જિલ્લામાં શિક્ષણ વિભાગના નિયમ મુજબ શિક્ષકો શાળાથી માત્ર 8 કિલોમીટરના અંતરે રહીને અપડાઉન કરી શકે છે. પરંતુ વાવ-થરાદ જિલ્લામાં સ્થિતિ તદ્દન વિપરીત છે અહીં ઘણા શિક્ષકો 100 થી 150 કિલોમીટર દૂરથી અપડાઉન કરે છે. આટલા લાંબા અંતરની મુસાફરી કરીને આવતા શિક્ષકો શાળામાં બાળકોને કેટલો સમય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકતા હશે તે એક મોટો સવાલ છે.
શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્યને અસર!
આટલું ઓછું હોય તેમ આવી વિકટ સ્થિતિ વચ્ચે પણ શિક્ષકોને વસ્તી ગણતરીની બિન-શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતા શિક્ષણ કાર્ય વધુ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સ્થાનિક વાલીઓ અને આગેવાનોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ નવી ભરતીમાં નવરચિત વાવ-થરાદ જિલ્લાની આ 1500 શિક્ષકોની ઘટ પૂર્ણ કરવામાં આવશે કે પછી દર વખતની જેમ સરહદી વિસ્તારના બાળકોનું શિક્ષણ કાર્ય આ જ રીતે ભગવાન ભરોસે ચાલ્યા કરશે? શિક્ષકોની ઘટ મામલે સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી છે કે, સરકાર આ બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લઈ સરહદી વિસ્તારના બાળકોના ભવિષ્યને ધ્યાને લે.



