અલ નીનો ઈફેકટ, વરસાદ ખેંચાવાના કારણે શહેરના જળાશયોમાં માછલીઓના મોત થવાની શક્યતા | fish death due to less water in ponds of vadodara

![]()
વડોદરાઃ અલ નીનોની અસરના કારણે ભારતનું ચોમાસુ વિલંબમાં મૂકાયું છે.વરસાદ પાછો ખેંચાવાના કારણે આખો દેશ ચિંતામાં છે.વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ તળાવોમાં સેંકડો માછલીઓના મોત થયા છે અને તેની પાછળ પણ અલ નીનોની અસર જવાબદાર હોઈ શકે છે તેવો નિષ્ણાતોનો મત છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ દિવસમાં ગોત્રી, સમા, ગોરવા અને સૂરસાગર તળાવમાં સેંકડો માછલીઓના મૃતદેહ જોવા મળ્યા છે.સૂરસાગરમાં તો ત્રણ વખત આવી ઘટના બની છે.આ મુદ્દે એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના અધ્યાપક ડો.ધવલ ભટ્ટે એક વાતચીતમાં કહ્યું હતું કે, શહેરના તળાવોમાં પ્રદૂષિત પાણી તો પહેલા પણ ઠલવાતું હતું પણ કેટલાક તળાવોમાં માછલીઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.પણ અલ નીનો ઈફેકટના કારણે ચોમાસુ મોડુ હોવાથી અને બીજી તરફ ગરમી હોવાથી જળાશયોમાં પાણી ઘટી રહ્યું છે અને તેના કારણે પાણીમાં ઓક્સિજન પણ ઘટી રહ્યો હોવાથી માછલીઓના મોત થયા હોવાની પૂરેપૂરી શકયતા છે.તેમના કહેવા પ્રમાણે જળાશયોમાં નવું પાણી ઠાલવવામાં આવે અથવા તો ફૂવારા લગાવીને પાણીનું સરક્યુલેશન વધારવામાં આવે.જેથી હવામાંથી ઓક્સિજન પાણીમાં ભળે.એરેટેર લગાવવાનો વિકલ્પ પણ છે.જો વરસાદ લાંબો ખેંચાયો અને જળાશયો વધારે સૂકાયા તો હજી પણ વધુ માછલીઓના મોત થઈ શકે છે.જોકે નદીઓમાં આવી શક્યતા નથી.કારણકે પાણી સ્થિર નહીં રહેતું હોવાથી અને વહેતું હોવાથી ઓક્સિજન ભળતો રહે છે.



