गुजरात

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhapar food poisoning 40 children fall ill after drinking buttermilk at religious feast



Food Poisoning In Bhuj: ભુજ નજીક આવેલા માધાપરના ઐશ્વર્યા નગર વિસ્તારમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આયોજિત બટુક ભોજનમાં છાશ પીવાના કારણે 45થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભોજન લીધાના થોડા જ સમયમાં બાળકોની તબિયત એકાએક બગડતાં તમામને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અધિક માસની પૂર્ણાહુતિના પ્રસંગે બની ઘટના

મળતી માહિતી અનુસાર, માધાપરના ઐશ્વર્યા નગર સ્થિત એક મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે સામૂહિક બાલ ભોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારના 50થી વધુ બાળકો ઉત્સાહભેર પ્રસાદ લેવા એકઠા થયા હતા. જોકે, આ ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ બાળકો માટે હાનિકારક સાબિત થઈ હતી.

છાશ પીધાના થોડા જ સમયમાં બાળકોની તબિયત લથડી

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી મંગાવવામાં આવ્યું હતું. ચાલુ ઉનાળાની અતિશય ગરમી અને ભેજયુક્ત વાતાવરણના કારણે આ દહીં લાંબો સમય ફ્રિજ વગર બહાર ખુલ્લું રહ્યું હોવાના લીધે અથવા તે પહેલેથી જ વાસી હોવાના કારણે બગડી ગયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: નર્મદા: સુશાસનના 12 વર્ષ કાર્યક્રમમાં વિવાદ, પ્રોટોકોલ ન જળવાતા ભાજપના મહિલા ધારાસભ્ય વોકઆઉટ બાદ ધરણા પર બેઠા

આ દહીંમાંથી બનેલી છાશ પીધાના થોડા જ સમયમાં બાળકોને પેટમાં સખત દુ:ખાવો, ચક્કર આવવા અને સામૂહિક ઉલ્ટી-ઝાડાની તકલીફ શરૂ થઈ ગઈ હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં માસૂમ બાળકોની સ્થિતિ બગડતાં જ આયોજકો અને વાલીઓમાં ભારે નાસભાગ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને પગલે આયોજકો અને વાલીઓએ ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સ મારફતે તમામ અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાકીદની પરિસ્થિતિને ધ્યાને રાખીને બાળરોગ નિષ્ણાતોની વિશેષ ટુકડીને તાત્કાલિક તૈનાત કરી ઇમરજન્સી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યાનુસાર, સદનસીબે સમયસર તબીબી સહાય મળી જતાં હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેઓ જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.





Source link

Related Articles

Back to top button