गुजरात

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર | lioness attack In bagasara locals blame forest department after child death In Amreli



Lioness Attack Incident In Bagasara: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામમાંથી વન્ય પ્રાણીના હુમલાની એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘંટીયાળ ગામની સીમમાં આવેલી પારસ સોજીત્રા નામના ખેડૂતની વાડીએ સિંહણે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ 7 વર્ષના બાળકને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બાળક અહીં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં વન વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે બાળકના શબને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

ઘંટીયાળ ગામમાં ત્રીજી અને બગસરા પંથકમાં 22મી ઘટના!

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વન્ય પ્રાણીઓના આતંકની આ કોઈ પ્રથમ ઘટના નથી. એકલા ઘંટીયાળ ગામે જ વન્ય પ્રાણી દ્વારા હુમલો કરાયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. જ્યારે સમગ્ર બગસરા પંથકની વાત કરીએ તો, અત્યાર સુધીમાં વન્ય પ્રાણીઓના હુમલાની કુલ 22 જેટલી નાની-મોટી ઘટનાઓ ઘટી ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કોઈ નક્કર પગલાં ભરતું ન હોવાથી રોજબરોજ નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.

“અધિકારીઓ માત્ર ઠાલા આશ્વાસનો આપે છે, વનમંત્રી પોતે આવે”

આ કરુણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે અને સ્થાનિક આગેવાનોએ વન વિભાગ સામે આરપારની લડાઈ આદરી છે. તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, “જ્યારે પણ વન્ય પ્રાણીઓ હુમલો કરીને કોઈનો જીવ લે છે, ત્યારે વન વિભાગના અધિકારીઓ માત્ર ઘટનાસ્થળે આવીને ઠાલા આશ્વાસનો આપીને જતા રહે છે. પરંતુ હવે પાણી માથા પરથી ગયું છે.” પરિવારે માંગ કરી છે કે રાજ્યના વનમંત્રી પોતે અહીં આવે અને લેખિતમાં ખાતરી આપે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ક્યારેય નહીં બને, ત્યાર બાદ જ તેઓ બાળકના શબનો સ્વીકાર કરશે.

આ પણ વાંચો: વડોદરા: ‘ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી’, સીનિયર સિટીઝનની દૂષિત પાણીની રજૂઆત પર નેતાનો ઉદ્ધત જવાબ

ખેતરોમાં જવા ડરતા ખેડૂતો: વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો

સિંહણના આ હુમલા બાદ સમગ્ર બગસરા પંથકના ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ખેડૂતો પોતાની વાડીએ જતાં પણ ફફડી રહ્યા છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકવા અને માનવભક્ષી કે હિંસક બનેલા વન્ય જીવોને તાત્કાલિક પાંજરે પૂરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. હાલમાં ગામમાં ભારે તંગદિલી અને શોકનો માહોલ છે, અને તંત્ર દ્વારા પરિવારને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.





Source link

Related Articles

Back to top button