જન કલ્યાણ શિબિરમાં પાણી મુદ્દે સિનિયર સિટીઝનનો આક્રોશ : રાજ્યમંત્રી અને ધારાસભ્યને જાહેરમાં ઘેરી દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માગ | Vadodara : Senior citizens’ anger over water issue at Jan Kalyan Shivir

![]()
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી પહોંચે તે હેતુથી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ રાજ્યમંત્રી મનીષા વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન એક સિનિયર સિટીઝને રાજ્યમંત્રી અને ધારાસભ્યને ઘેરી પાણીની સમસ્યાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. જાહેરમાં રોષ વ્યક્ત કરતાં એમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર-1માં પ્રયાગ ચોકડી પાસેની જૂની પાણીની લાઈન બદલવામાં આવે તો વિસ્તારની 23 સોસાયટીઓમાં લાંબા સમયથી ચાલતી દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
સિનિયર સિટીઝનના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ-2024થી સતત આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે. અગાઉ તત્કાલીન મેયર, મ્યુનિસિપલ કમિશનર, પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ કક્ષાના અધિકારીઓ સમક્ષ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત બાદ અધિકારીઓ સ્થળ મુલાકાત લઈને એસ્ટીમેટ તૈયાર કરવાની અને મંજૂરી મેળવવાની વાત કરે છે, પરંતુ કામ આગળ વધતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જ્યાંથી સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ફરિયાદ કરવામાં આવે ત્યારે અધિકારીઓ અને વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત સોસાયટીઓમાંથી અત્યાર સુધીમાં આશરે 25 વખત પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા છે. દરેક વખતે માત્ર “સમસ્યા હલ થઈ જશે” એવો જવાબ મળે છે, પરંતુ વાસ્તવિક ઉકેલ આવ્યો નથી. “હવે આ આશ્વાસનો સાંભળીને કંટાળી ગયો છું. જરૂર પડશે તો સમસ્યાના નિરાકરણ માટે દિલ્હી સુધી પણ જઈશ,” તેમ કહી તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.



