કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા | Raw meat food shortages hormonal changes turned dogs into man eaters

![]()
સૌથી વફાદાર પાળતુ પ્રાણીમાં બદલાવ લાલબત્તીરૂપ
એનિમલ રાઈટ્સ’ અને ‘હ્યુમન સેફ્ટી’ વચ્ચે સરકારી તંત્ર જ સૂડી વચ્ચે સોપારી, શ્વાનોનાં રસીકરણ, ખસીકરણ, શેલ્ટર પ્રોજેક્ટ તકલાદી
રાજકોટ: અત્યાર સુધી સિંહ-દીપડાં જેવા માનવભક્ષી વન્ય પ્રાણીઓ માનવી પર હુમલા કરી રહ્યા હતા, પણ હવે પાળતું શ્વાનો પણ જંગલી જનાવરની જેમ હુમલા કરવા લાગ્યા છે. તાજેતર જ માસૂમ બાળકને કૂતરાઓએ ફાડી ખાવાની ઘટનાએ સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી ચિંતાને સાચી ઠરાવી છે. પરંતુ હાલ તો ‘એનિમલ રાઈટ્સ’ અને ‘હ્યુમન સેફ્ટી’ વચ્ચે સરકારી તંત્રની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. સવાલ એ ઊભો થાય છે કે, વફાદાર ગણાતું આ પ્રાણી અચાનક આટલું હિંસક અને માનવભક્ષી કેમ બની રહ્યું છે.
નિષ્ણાતોના મતે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં ફેંકાતો કચરો આ સમસ્યાનું મુખ્ય મૂળ છે. હોટલો, લગ્નપ્રસંગો અને મટન-ચિકનની દુકાનોમાંથી નીકળતો એઠવાડ અને કાચું માંસ શ્વાનોને સરળતાથી મળી રહે છે. કાચું માંસ અને લોહીનો સ્વાદ ચાખવાને કારણે શ્વાનની કુદરતી શિકાર કરવાની વૃત્તિ જાગ્રત થઈ જાય છે. જ્યારે તેમને આ ખોરાક નથી મળતો, ત્યારે તેઓ ભૂખના માર્યા હિંસક બનીને નાના બાળકો કે નબળા લોકો પર હુમલો કરે છે.
નાયબ પશુપાલન નિયામક ડો.ગરાળા કહે છે કે, રખડતા કૂતરાઓને કાયદાકીય રીતે કે માનવતાની દ્રષ્ટીએ મારી શકાતા નથી, પરંતુ તેમની વસ્તી નિયંત્રણમાં રાખવા માટે નસબંધી અને હડકવા વિરોધી રસીકરણની છૂટ છે. ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થાનિક તંત્ર પાસે નસબંધી માટે કોઈ ચોક્કસ આયોજન કે બજેટ હોતું નથી. કૂતરાઓની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. વસ્તી વધતાં તેમની વચ્ચે ખોરાક અને વિસ્તાર માટેની લડાઈ વધે છે, જે તેમનામાં આક્રમકતા વધારે છે.
વધુમાં શ્વાન એ પોતાના વિસ્તાર પ્રત્યે અત્યંત સંવેદનશીલ પ્રાણી છે. પ્રજનન કાળ દરમિયાન તેમનામાં હોર્મોનલ ફેરફારો થાય છે. આ ગાળામાં કૂતરાઓ વધુ ગુસ્સામાં હોય છે. નાના બાળકો કૂતરાની નજીકથી દોડે અથવા ડરીને ભાગવાનો પ્રયાસ કરે ત્યારે શ્વાન તેને પોતાનો દુશ્મન અથવા સરળ શિકાર સમજી બેસે છે. બીજી તરફ ઘણી વખત શેરીઓમાં કૂતરાઓ પર પથ્થર મારવા, તેમને લાકડીથી પીટવા કે વાહન નીચે કચડી નાખવાની ઘટનાઓ બને છે. સતત ભય અને માનવ ક્રૂરતાનો સામનો કરવાને કારણે શ્વાનોમાં માણસો પ્રત્યે નફરત અને સ્વબચાવમાં હુમલો કરવાની વૃત્તિ વિકસે છે.
– રાજ્યમાં રખડતા શ્વાનોની સંખ્યા 10 લાખ કરતા વધુ
રાજ્યમાં રખડતા શ્વાનોની સંખ્યા અંદાજે ૧૦ લાખ જેટલી છે. ખાસ તો મહાનગરોમાં શ્વાનોની વસ્તી ઝડપથી વધી રહી છે. અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અંદાજે ૨ લાખથી વધુ છે. જ્યારે સુરત, રાજકોટ અને વડોદરા એમ ત્રણેય મોટા શહેરોમાં થઈને ૩ લાખ જેટલા રખડતા કૂતરાઓ હોવાનો અંદાજ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો અહીં કૂતરાઓની વસ્તી ૬૦,૦૦૦ને પાર હોવાનું માનવામાં આવે છે.
– દરરોજ 700થી વધુ લોકોને કૂતરાં કરડે છે
ગુજરાતમાં દર વર્ષે ૨.૪૧ લાખથી વધુ શ્વાન કરડવાના કેસ આવે છે. એટલે કે, રાજ્યમાં દરરોજ સરેરાશ ૭૦૦થી વધુ લોકો કૂતરાઓનો શિકાર બને છે. એ તો ઠીક શ્વાન કરડવાના કેસની બાબતમાં ગુજરાત દેશના ટોપ-૫ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. શ્વાનોના હુમલાની ઘટનાઓ ચેતવણી સમાન છે. જો હજુ પણ રખડતા શ્વાનોની વસ્તી અને તેમના ખોરાક પર નિયંત્રણ લાવવામાં નહીં આવે, તો વફાદાર ગણાતું આ પ્રાણી માનવજાત માટે વધુ મોટો ખતરો બની જશે.
– શ્વાનોના જીવલેણ આતંકમાંથી મુક્તિ મેળવવા શું કરી શકાય?
શ્વાન વિશેષજ્ઞા કહે છે કે, માત્ર કૂતરાઓને પકડીને બીજા વિસ્તારમાં છોડી દેવાથી આ સમસ્યા હલ નહીં થાય. તેના માટે નક્કર અને લાંબા ગાળાના આયોજનની જરૂર છે.
* નસબંધી ઝુંબેશઃ નગરપાલિકા અને પંચાયત સ્તરે વ્યાપક નસબંધી અને રસીકરણ કરવું..
*વેસ્ટ મેનેજમેન્ટઃ માંસ-મટનની દુકાનોના કચરાનો યોગ્ય નિકાલ કરવો, જેથી કૂતરાઓ હિંસક ન બને..
* જનજાગૃતિઃ બાળકોને કૂતરા સામે કેવી રીતે વર્તવું (ભાગવું નહીં, પથ્થર ન મારવા) તેની સમજ આપવી..



