જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police complaint filed against youth for women for Misdemeanor her of marriage in Jamnagar

![]()
Jamnagar : જામનગર શહેરમાં વધુ એક યુવતીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનો ચકચારી કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપસર સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે.
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો અનુસાર, શહેરના તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજવીરસિંહ રાઠોડ નામના 25 વર્ષીય શખ્સ સામે ગુનો નોંધાયો છે. આરોપીનો જામનગરમાં જ રહેતી 22 વર્ષીય યુવતી સાથે વર્ષ 2025 દરમિયાન પરિચય થયો હતો.
પરિચય બાદ બંને વચ્ચે મિત્રતા અને ત્યારબાદ પ્રેમસંબંધ વિકસ્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધી હતી. લગ્નની લાલચ અને વચનો આપીને તેણે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગભગ એક વર્ષથી વધુ સમય સુધી બંને સંપર્કમાં રહ્યા બાદ આરોપીએ એકાએક લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ યુવતીને પોતે ઠગાઈનો ભોગ બની હોવાની જાણ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
યુવતીની ફરિયાદના આધારે સિટી બી. ડિવિઝન પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી દીધી હતી અને તેને અદાલત સમક્ષ રજૂ કર્યા બાદ જેલ હવાલે કરી દેવાયો છે. પોલીસે ભોગ બનનાર ની તબીબી ચકાસણી કરી લીધા બાદ તેણીના પરિવાર સાથે મોકલી દેવાઇ છે.



