E20 નહીં પણ તેનાથી વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ખતમ: કેન્દ્ર સરકારનો નિર્ણય | Petrol Excise Duty Waived: Government Removes Tax on Ethanol Blended Petrol E22 to E30

Excise Duty Petrol Waived | પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઇરાન વચ્ચે ભભૂકેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જા કોરિડોર ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માંથી ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. એશિયાથી લઈને યુરોપ સુધી ઇંધણની કટોકટી ઊભી થઈ છે, ત્યારે ભારતે પોતાની ‘એનર્જી સિક્યોરિટી’ (ઊર્જા સુરક્ષા) ને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે તેના પર લાગતી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી (કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક) સંપૂર્ણપણે નાબૂદ એટલે કે શૂન્ય કરી દીધી છે.

E22 થી E30 પેટ્રોલ પર ટેક્સ માફ, ગેઝેટ નોટિફિકેશન જાહેર
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન અનુસાર, 22 ટકાથી લઈને ૩૦ ટકા સુધી ઇથેનોલ બ્લેન્ડેડ (મિશ્રિત) પેટ્રોલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી અને અન્ય સેસ (ઉપકર) માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ નિર્ણય હેઠળ હવે E22, E25, E27 અને E30 શ્રેણીના પેટ્રોલ પર કોઈ ટેક્સ લાગશે નહીં. અત્યાર સુધી સરકાર E20 (20 ટકા ઇથેનોલ) પેટ્રોલ પર ભાર મૂકતી હતી, પરંતુ હવે તેનાથી વધુ મિશ્રણ ધરાવતા ગ્રીન ફ્યુઅલને વેગ મળશે.
આ નિર્ણયથી કોને અને શું ફાયદો થશે?
ગ્રાહકો અને કંપનીઓને રાહત: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચવા છતાં, આ ટેક્સ મુક્તિને કારણે સ્થાનિક બજારમાં ઇંધણના ભાવ સ્થિર રાખવામાં મોટી મદદ મળશે.
ખેડૂતોની આવકમાં વધારો: ઇથેનોલ એ એક બાયોફ્યુઅલ (જૈવિક ઇંધણ) છે, જે મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બને છે. ઇથેનોલની માંગ વધતા દેશના ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.
આયાત પર નિર્ભરતા ઘટશે: ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે. પેટ્રોલમાં 30 ટકા સુધી ઇથેનોલ ભળવાથી વિદેશથી મંગાવાતા મોંઘા ઓઇલ પરની નિર્ભરતા ઘટશે અને વિદેશી હૂંડિયામણ બચશે.
વાહન ઉત્પાદકો માટે નવો પડકાર
જોકે, નિષ્ણાતોના મતે, આ ઉચ્ચ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ તાત્કાલિક તમામ વાહનોમાં શક્ય નહીં બને. આ માટે ઓટોમોબાઈલ કંપનીઓએ એવા ખાસ એન્જિન (Flex-Fuel Engines) વિકસાવવા પડશે જે E30 પેટ્રોલના અનુકૂળ હોય.



