જામનગરમાં ઇન્દિરા કોલોની અને ધરારનગર વિસ્તારમાં બે મહિલાઓના ગળાફાંસાથી આપઘાતના બનાવ, પોલીસ તપાસ શરૂ | Two women commit suicide in Indira Colony and Dhararnagar areas of Jamnagar

![]()
Jamnagar : જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બે મહિલાઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બંને બનાવોમાં પોલીસે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી સાહિદા હુસેનભાઈ થઇમ નામની 24 વર્ષીય અપરિણીત યુવતીએ પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક યુવતીના મોટાભાઈ મોહસીન હુસેનભાઇએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ શહેરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી હંસાબેન મનસુખભાઈ ગોહિલ નામની 43 વર્ષીય પરણિત મહિલાએ પણ કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે બનાવ અંગે મૃતકના પતિ મનસુખભાઈ ગોવિંદભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં આ બનાવ મામલે પણ સીટી સી. ડિવિઝનના પોલીસે બનાવના સ્થળે જઈને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.


