પરિણીતાને લગ્નની લાલચ આપી પતિના કૌટુંબિક ભાઇ દ્વારા દુષ્કર્મ | Married woman raped by husband’s brother on the pretext of marriage

![]()
રાજકોટ પોલીસ પાસે પહોંચ્યો અજીબોગરીબ કિસ્સો
પતિ અને તેના કૌટુંબિક ભાઇ સાથે શારીરિક સંબંધ બાંધનાર પરિણીતા ગર્ભવતી બની, કૌટુંબિક ભાઇએ સ્વિકારવાની ના પાડતા દુષ્કર્મની ફરિયાદ
રાજકોટ: મેટ્રો શહેરની જેમ હવે રાજકોટમાં પણ અનૈતિક સંબંધોનું પ્રમાણ ચોંકાવનારી હદે વધી ગયું છે, જેની પ્રતીતિ કરાવતા કિસ્સાઓ છાશવારે પોલીસ પાસે પહોંચે છે. આવા જ એક કિસ્સામાં એક પરિણીતાને લગ્નની લાલચ આપી તેના પતિના કૌટુંબિક મામાના પુત્રએ અનૈતિક સંબંધો બાંધ્યા હતા. આખરે પરિણીતા ગર્ભવતી બની હતી અને પુત્રીને જન્મ આપતા જ પતિના કૌટુંબિક મામાના પુત્રએ તરછોડી દેતા બી ડિવિઝન પોલીસમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.
ભોગ બનનાર પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, ૨૦૨૧માં તેના લગ્ન થયા હતા. લગ્નના એકાદ વર્ષ પછી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરીયાઓની ચડામણીથી પતિએ મારકુટ શરૂ કરી દીધી હતી. જેને કારણે સખત માનસિક તનાવમાં રહેવા લાગી હતી. કોઇ દુઃખી ન થાય તે માટે પીયરીયાઓને પણ આ વાત કરી ન હતી.
પતિના કૌટુંબિક મામાનો પુત્ર રાજેશ (નામ બદલ્યું છે) અવાર-નવાર તેના ઘરે આવતો હતો. એક દિવસ તેને પુછ્યું કે, ભાભી કેમ રડો છો. જેથી તેણે આપવિતી કહેતા બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. વાતચીતમાં અવાર-નવાર તેને હું તમારી સાથે છું, કાયમ સાથે રહીશ તેમ વિશ્વાસ અપાવતો રહ્યો હતો. આખરે એક દિવસ રાજેશે તેને કહ્યું કે, ભાભી તમે તમારા પતિને કેમ છોડી નથી દેતા.
જેની સામે તેણે કહ્યું કે, તેને છોડીને ક્યાં જઉ. આ વાત સાંભળી રાજેશે કહ્યું કે, ભાભી મને તમે ગમો છો, જો પતિને છોડી દેશો તો હું તમારી સાથે લગ્ન કરી લઇશ. તે સાસરીયાઓના ત્રાસથી કંટાળી હતી. આ સ્થિતિમાં રાજેશે વિશ્વાસ આપતા તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ હતી. નવેક માસ પહેલાં એક દિવસ તેના ઘરે આવી રાજેશે ફિઝિકલ રિલેશનની માગણી કરતા તેણે ઇન્કાર કર્યો હતો. આમ છતાં બળજબરીથી તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.
આ સિલસિલો પછી જારી રહ્યો હતો. આ સમય દરમિયાન પતિ પણ શારીરિક સંબંધ બાંધતો હતો. નવેક માસ પહેલાં તે ગર્ભવતી થતાં રાજેશને વાત કરી હતી. તે વખતે તેણે ટુંક સમયમાં ભાગીને લગ્ન કરી લેવાની વાત કરી હતી. ત્રણ મહિના બાદ લગ્ન કરવાની તૈયારી બતાવી તેને ભગાડી અમદાવાદ લઇ ગયો હતો. જ્યાંની હોટલમાં બે દિવસ રોકાયા હતા. ત્યાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બે દિવસ બાદ રાજેશના પરિવારના સભ્યો અને સગાવ્હાલાઓ હોટલ આવી બંનેને પરત રાજકોટ લઇ આવ્યા હતા. રાજકોટ આવ્યા બાદ રાજેશે તેને અપનાવવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં તેના પરિવાર પાસે મોકલી આપી હતી. સાથોસાથ સ્પષ્ટ કહીં દીધું કે હવે હું તને લઇ જવા માગતો નથી, તારા પેટમાં રહેલું બાળક મારું છે કે નહીં તે કેમ ખબર પડે, મારે હવે તું જોઇતી નથી.
આખરે સામાજિક આગેવાનોએ રાજેશના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજેશ તેને કે તેના બાળકને અપનાવવા તૈયાર થયો ન હતો. થોડા સમય પહેલાં જ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. તેના ભવિષ્યનું વિચારી આખરે રાજેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
– બાળકી ખરેખર કોની ? પોલીસ પણ અવઢવમાં, ડીએનએ ટેસ્ટ કરાવાશે
રાજકોટ: આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પણ અવઢવમાં પડી ગઇ છે. કારણ કે રાજેશે બાળક પોતાનું હોવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. ભોગ બનનાર પરિણીતાએ બાળક કોનું છે તે વિશે પોતાને કોઇ જાણ નહીં હોવાનું કહ્યું છે. જ્યારે તેના પતિએ સ્પષ્ટ રીતે કહ્યું કે, ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ જો બાળક તેનું હશે તો તેને પોતે અપનાવી લેશે. પરંતુ પત્નીને હવે કોઇ રીતે સ્વિકારી શકે તેમ નથી. આ સ્થિતિમાં બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવાય તેવી શક્યતા પોલીસે દર્શાવી છે.

