गुजरात

અમદાવાદ: નેહરુનગરમાં 675 કરોડની જમીન પચાવી પાડવા નિવૃત્ત DySPનો ખેલ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ | Shocking Revelations in Ahmedabad’s ₹675 Crore Land Row Linked to Retired DySP



Ahmedabad Retired DySP Firing Case: અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં પાથરણા બજારની જમીન પર થયેલા પાંચ રાઉન્ડ ધડાધડ ફાયરિંગના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપી (DySP) અશોકસિંહ ચૌહાણ, તેના દીકરા અને દીકરીની ધરપકડ બાદ જેલહવાલે કરી દેવાયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જે પોણા છ વીઘા જમીન માટે આ વિવાદ થયો તેની બજાર કિંમત 675 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ કરોડો રૂપિયાની જમીન પર નિવૃત્ત DySPના દાદા ક્યારેક સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા અને પિતા ચાની કીટલી ચલાવતા હતા. જેના આધારે આખો પરિવાર ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન પચાવી પાડવા માંગતો હતો.

દાદાની નોકરી અને પિતાની ચાની કીટલીના જોરે કરોડોની જમીન પર દાવો!

મળતી માહિતી અનુસાર, નહેરૂનગર ખાતે આવેલી આ આશરે પોણા 6 વીઘા એટલે કે 13,500 ચોરસ મીટરની જમીનની કિંમત આશરે 675 કરોડ રૂપિયા થાય છે. વર્ષો પહેલાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણના દાદા આ જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ત્યારબાદ તેના પિતા પ્યારેસિંહ ત્યાં ચાની કીટલી ચલાવતા હતા. આ કનેક્શનના જોરે અશોકસિંહ ચૌહાણ ભાડૂઆત બનીને ગમે તે ભોગે આ કિંમતી જમીન હડપ કરવાના પેંતરા રચી રહ્યા હતા. હદ તો ત્યાં થઈ કે, વર્ષ 2016માં અશોકસિંહે પોતાના આઈટી (IT) રિટર્નમાં પણ આ જમીન પોતાની હોવાનું દર્શાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’

કોર્ટ અને તંત્રએ તમામ દાવા ફગાવ્યા

આ જમીન પચાવી પાડવા માટે ચૌહાણ પરિવારે અનેક કાયદાકીય દાવપેચ ખેલ્યા પરંતુ દર વખતે તેમને જોરદાર લપડાક મળી છે. વર્ષ 2000માં મામલતદારે અશોકસિંહ ચૌહાણનો દાવો નકાર્યો, જેની સામે SDMમાં અપીલ કરતાં તેમણે પણ મામલતદારનો ઓર્ડર કન્ફર્મ રાખી દાવો ફગાવ્યો. વર્ષ 2016માં સિટી સિવિલ કોર્ટમાં કરેલો ભાડૂઆતનો દાવો પણ કોર્ટે ફગાવી દીધો. ત્યારબાદ

એપ્રિલ 2023માં અશોકસિંહ ચૌહાણે એડવર્સ પઝેશન (લાંબા સમયના ગેરકાયદે કબજાના આધારે માલિકી હક) માટે પિટિશન કરી હતી. પરંતુ જમીનના મૂળ માલિક બપિન વાડીલાલ મહેતાના વારસદારોની રજૂઆતના પગલે ગત છઠ્ઠી મે 2026ના રોજ કોર્ટે તે ઓર્ડર પણ રિજેક્ટ કરી દીધો હતો.

ગેરકાયદે ભાડું વસૂલતા હતા

કોઈપણ કાયદેસરનો માલિકી હક ન હોવા છતાં ચૌહાણ પરિવારે વર્ષ 2025માં ગેરકાયદે રીતે પાથરણાવાળાઓ સાથે ભાડા કરાર કરી દીધા હતા અને આશરે 30 લાખ રૂપિયા એડવાન્સ મેળવીને મહિને 1 લાખ રૂપિયા જેટલું ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે, કોર્પોરેશન (AMC) દ્વારા આ ગેરકાયદે બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ અને ધોકા-સળિયા સાથેનો વીડિયો

છઠ્ઠી મે 2026ના રોજ કોર્ટમાંથી ઓર્ડર રિજેક્ટ થતાં જ ચૌહાણ પરિવાર ઉકળી ઉઠ્યો હતો. જેમને જગ્યા ભાડે આપી હતી તેમની સાથે જ વિવાદ વકર્યો હતો અને બે દિવસ પહેલાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે સામી વ્યાજની અદાવતમાં ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ અંગે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી હતી.

દીકરા-દીકરી પણ ગુનામાં સામેલ

પોલીસ તપાસ દરમિયાન સોશિયલ મીડિયા અને સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. જેમાં નિવૃત્ત DySPના દીકરા અને દીકરી હાથમાં લોખંડની પાઇપો, સળિયા અને ધોકા લઈને આ ગેરકાયદે જમીનની રખેવાળી કરતા અને લોકોને ધમકાવતા નજરે પડે છે. પોલીસે આ વીડિયોના આધારે તેમની સામે પણ ગુનો નોંધી ત્રણેય સભ્યોને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.



Source link

Related Articles

Back to top button