गुजरात

નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Violence in Gujarat 1 68 Lakh Helpline Calls Rising Dowry Cases Expose Reality



Domestic Violence in Gujarat: એક તરફ, નારી શક્તિ- મહિલા સશક્તિકરણના મોટા મોટા હોર્ડિંગ્સ ચમકી રહ્યાં છે ત્યારે બીજી તરફ, ગુજરાતમાં ઘરની ચાર દીવાલો વચ્ચે ભયાનક વાસ્તવિકતા આકાર લઈ રહી છે. રાજકીય મંચ પરથી તો ગર્જના કરવામાં આવે છે કે, ગુજરાતમાં મહિલાઓએ અડધી રાત્રે પણ ફરી શકે છે પરંતુ કડવી હકીકત એ છે કે, રાજ્યમાં ઘરેલું હિંસાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દહેજના રાક્ષસે તો 125 દીકરીઓને જીવનલીલા સંકેલી લેવા મજબૂર બનાવી છે. એટલું જ નહીં, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના મતે, વર્ષ 2024માં જ દહેજના મામલે 16 યુવતીઓ મોતને ભેટી હતી.

‘સુરક્ષિત ગુજરાત’ના દાવા વચ્ચે નરકાગાર જેવી સ્થિતિ

ગુજરાત ‘સુરક્ષિત’ રાજ્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ વર્ષ 2025માં જ 67,000થી વધુ મહિલાઓએ પોતાના જ ઘરમાં નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2023ની સરખામણીએ 2024માં મહિલાઓ સામેના ગુનામાં 33%નો તોતિંગ વધારો થયો, જે ટ્રેન્ડ 2025માં પણ યથાવત રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી.

ઘરના આંગણે જ રોજ 2026 મહિલાઓ વેઠે છે શારીરિક-માનસિક ત્રાસ

મેગા સિટી અને સ્માર્ટ સિટી અમદાવાદની વાત કરીએ તો, વર્ષ 2024થી શરૂ કરીને 2026ના પ્રારંભિક મહિનાઓ સુધીમાં જ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાના 10,000થી વધુ કેસો નોંધાયા છે. સ્માર્ટ સિટીના આ આંકડા સાબિત કરે છે કે ભૌતિક વિકાસથી માનસિકતા બદલાતી નથી. ગુજરાતમાં લગ્ન સહિત અન્ય ઇરાદે 486 યુવતીઓનું અપહરણ કરાયું હતું. આ ઉપરાંત રોજ 2026 મહિલાઓ પોતાના પરિવારજનોના હાથે જ શારીરિક કે માનસિક ત્રાસ વેઠે છે. તેમાંય દહેજ પણ મુખ્ય કારણ બની રહ્યું છે. 

દહેજની લાલચે છેલ્લા એક વર્ષમાં 16 દીકરીઓનો ભોગ લીધો

આ કારણોસર પતિ અત્યાચારના કેસો પણ દિવસ દિવસે વધી રહ્યાં છે. પોલીસ ચોપડે પતિ અત્યાચારના કુલ 1926 કેસો નોંધાયા છે. આ ઉપરાંત દહેજની માંગણીને લીધે જ છેલ્લાં એકાદ વર્ષમાં 16 દીકરીઓએ જાન ગુમાવવી પડી છે. ‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ હેઠળ માત્ર મારપીટ જ નહીં, પણ શાબ્દિક અપમાન, માનસિક ત્રાસ અને આર્થિક શોષણને પણ ગુનો ગણવામાં આવ્યો છે. પરંતુ સરકારની ઇચ્છાશક્તિના અભાવે કાયદો કાગળ પરનો વાઘ બનીને રહી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક બનાવો

નારી શક્તિના નામે મસમોટા સંમેલનો અને ધૂમ માર્કેટિંગ

સરકાર જે ‘181 અભયમ’ હેલ્પલાઇનની સિદ્ધિઓના ગુણગાન ગાય છે, તેના પર વર્ષ 2025માં 1.68 લાખથી વધુ કોલ્સ આવ્યા જેમાં 40% કોલ્સ તો માત્ર ઘરેલું હિંસાના હતા. હેલ્પલાઇન કાર્યરત હોવી સારી બાબત છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કોલ્સ આવવા એ જ સાબિતી છે કે સમાજમાં હિંસાનું પ્રમાણ બેકાબૂ બન્યું છે.

શાસક પક્ષના નેતાઓ મહિલા સશક્તિકરણ અને ‘નારી શક્તિ’ના નામે મસમોટા સંમેલનો યોજીને ધૂમ માર્કેટિંગ કરે છે પણ ગુજરાતના કલંકરૂપ યુવતી-મહિલાઓના અત્યાચારના આંકડાઓને લઈને એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.



Source link

Related Articles

Back to top button