ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gandhinagar Lok Sabha dominated

![]()
અમદાવાદ,મંગળવાર,26મે,2026
અમદાવાદના મેયર તરીકે
થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ તથા ડેપ્યુટી મેયર તરીકે સાબરમતીના અંજુબેન
શાહની વરણી કરવામા આવી છે. કોર્પોરેશનની પરંપરા મુજબ જે નવા મેયરની નિમણૂંક થાય
તેમને તેમની પહેલાના મેયર અધ્યક્ષની ખુરશી તરફ દોરી જાય પછી નવા મેયર સ્થાન ગ્રહણ
કરે. આ પરંપરાના બદલે કોર્પોરેશનની પંદરમી ચૂંટણી પછી મેયર અને ડેપ્યુટી મેયરની
ચૂંટણી પ્રક્રીયા કરીને નિમણૂંક કરવામા આવી હતી.કોંગ્રેસ તરફથી ઉભા રાખવામા આવેલા
બંને ઉમેદવારોને ૩૨ મત મળ્યા હતા.કોર્પોરેશનના મહત્વના પાંચ હોદ્દામાંથી ત્રણ
હોદ્દા ગાંધીનગર લોકસભાના કોર્પોરેટરોને ફાળે જતા ગાંધીનગર લોકસભાનુ કોર્પોરેશનમાં
વર્ચસ્વ છવાઈ ગયુ હતુ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશ પટેલ, પક્ષનેતા તરીકે
જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂંક કરવામાં આવી હતી.એ.એમ.ટી.એસ.ના
સભ્યોની નિમણૂંક બાકી રાખી બોર્ડ બેઠક
મુલત્વી રાખવામા આવી હતી.
કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂંક કરવા મંગળવારે
સવારે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના ભાજપ નેતા દાણાપીઠ ખાતે આવેલા ભાજપના
કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.જયાં એક પછી એક હોદ્દેદારોના નામની જાહેરાત કરવામા આવી
હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલની નિમણૂંક કરવામા
આવી હતી.પક્ષનેતા તરીકે જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ
મિશ્રાની નિમણૂંક કરવામા આવી હતી.ગાંધીહોલ ખાતે પહેલી બોર્ડ બેઠકમાં ભાજપના બંને
ઉમેદવારોને ૧૬૦ મત મળ્યા હતા.હિતેશ બારોટે મેયરના હોદ્દાની રુએ ડેપ્યુટી મેયર
અંજુબેન શાહને આમંત્રિત કરતા ભાજપના કોર્પોરેટરો અને મોટી સંખ્યામા હાજર રહેલા
ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને જય જય શ્રી રામના નારાથી ગૃહને ગજવી દીધુ
હતુ.સ્ટેન્ડિંગ કમિટીના નવ સભ્યોના ફોર્મ પરત ખેંચાયા હતા.
સ્ટેન્ડિંગ કમિટીમાં કોનો-કોનો સમાવેશ?
નામ વોર્ડ
કેતન પટેલ ગોતા
રાકેશ પરીખ સ્ટેડિયમ
વોર્ડ
નિરજ ગજજર સાબરમતી
ચંદ્રપ્રકાશ ખાનચંદાણી સરદારનગર
રાજેશ પટેલ શાહીબાગ
ઘનશ્યામ બારોટ ઈન્ડિયાકોલોની
વોર્ડ
કમલેશ પટેલ ખોખરા
જયશ્રીબેન દાસારી બાપુનગર
સુમનબેન સોલંકી અસારવા
રુપલબેન ભટ્ટ રામોલ
મૌલિક પટેલ ઈસનપુર
નિતાબેન દેસાઈ ઓઢવ
પાટીદાર ફેકટરને લઈ જૈનિક વકીલની બાદબાકી
ચૂંટણી અગાઉ જે પ્રમાણે છેલ્લી ઘડીએ પાલડી વોર્ડમાંથી આશિષ
શાહને અપાયેલી ટિકીટ કાપી જૈનિક વકીલને ઉમેદવારી કરવા લીલી ઝંડી અપાઈ હતી.તેને
ધ્યાનમાં લઈ જૈનિક વકીલ છેલ્લી ઘડી સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદની રેસમાં
હતા.પરંતુ છેલ્લા ૨૪ કલાકમાં બદલાયેલા રાજકીય
સમીકરણ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પાટીદાર સમાજને તક આપવાનો નિર્ણય
કરાતા જૈનિક વકીલના નામની બાદબાકી કરવામા આવી હતી. આ ઉપરાંત ઘાટલોડીયા વોર્ડમાંથી
ચૂંટાયેલા પ્રવિણ પટેલ ના નામ ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયુ હતુ.



