આજે સોરઠની મધમીઠી ‘કેસર કેરી’ નો 92મો નામકરણ દિવસ, ‘સાલેભાઈની આંબડી’ માંથી ‘કેસર’ બનવાની શાહી સફર | How Gir Kesar Mango Got Its Name The 92 Year Old Royal History

![]()
Kesar Mango History: ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય ત્યારે આપણને બીજું કંઈ ગમે કે ના ગમે, પણ એક વસ્તુ ચોક્કસ ગમે છે – એ છે ફળોનો રાજા કેરી! અને એમાંય જો ‘કેસર કેરી’ની વાત કરીએ તો તે ખરેખર ટોચ પર છે. ભારતની 1000 કરતાંય વધુ કેરીની જાતોમાં ગીરની કેસર કેરીનો વટ જ કંઈક અલગ છે. કેસર કેરીનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સોરઠની આ મધમીઠી કેરીને ‘કેસર’ નામ ક્યારે, કોણે અને કઈ રીતે આપ્યું? ખરેખર તો, આજે 25મી મે, 2026ના રોજ આ ‘કેસર’ કેરીના નામકરણને 92 વર્ષ પૂરાં થયાં છે. જો કે, આ કેરી અસ્તિત્વમાં તો એ પહેલાં પણ હતી, પણ તેનું વિધિવત નામકરણ થયું નહોતું.
વજીરની દાઢે વળગ્યો દેશી કેરીનો સ્વાદ
વંથલીના વેણુ રેવન્યુ સર્કલ ખાતે ચમસી અને રબારી જાતની દેશી કેરીના બગીચાઓ લહેરાતા હતા. આ બગીચાઓમાં જૂનાગઢ સ્ટેટના વજીર સાલેભાઈ ઈદ્દુ અવારનવાર આંટો મારવા જતા. 1934ની આસપાસ એક દિવસ કેરીની લણણી વખતે તેઓ ત્યાં હાજર હતા અને તેમણે કુદરતી રીતે પાકેલી એક અનોખી કેરીનો સ્વાદ ચાખ્યો. આ સ્વાદ એવો તો અદ્ભુત હતો કે વજીર સાહેબની દાઢે વળગી ગયો. તેઓ આ અનોખી કેરી પોતાના પરમ મિત્ર એવા માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંજીરમિયાં માટે ભેટ-સોગાદ તરીકે લઈ ગયા. માંગરોળના નવાબ પણ આ કેરી ખાઈને ઓગળી ગયા! તેમણે ખુશ થઈને આ કેરીના ઝાડને ‘સાલેભાઈની આંબડી’ નામ આપ્યું અને સાલેભાઈને ‘સાલે હિન્દ’નું બિરુદ પણ આપી દીધું.
એ ઐતિહાસિક દિવસ, આંબડી બની ‘કેસર’
એ ઐતિહાસિક દિવસ 25 મે, 1934 હતો. આ કેરીમાં કોઈ રેસા નહોતા, સ્વાદ મધ જેવો મીઠો હતો, સુગંધ મન મોહી લે તેવી હતી અને તેનો રંગ અદ્ભુત કેસરી હતો! બસ, આ ભવ્ય ગુણોને જોઈને નવાબે તેને શાહી નામ આપ્યું – ‘કેસર’. બસ, ત્યારથી વંથલીની આ દેશી આંબડી વૈશ્વિક બ્રાન્ડ ‘કેસર કેરી’ તરીકે અમર થઈ ગઈ. ગિરનારની તળેટીમાં આવેલા લાલધેરીના જંગલને સાફ કરાવીને ત્યાં વૈજ્ઞાનિક ઢબે આ કલમો ઉછેરવામાં આવી.
શાહી સ્વાદ અને કેસરી રંગ સોરઠની અમૂલ્ય વિરાસત
– કેસર કેરીનો પાક એપ્રિલ-મે મહિના દરમિયાન આવે..
– કેસર કેરીની કલમને ફળ આવતા 3-4 વર્ષ લાગે..
– કેસરના આંબાની ઊંચાઈ 50 ફૂટ સુધી હોઈ શકે..
– એક આંબો 1 વર્ષમાં 150થી 200 કિલો ફળ આપે..
– સારી ગુણવત્તાની કેરીનું વજન 200થી 300 ગ્રામ હોય..
– કેરીમાં વજનના 69 ટકા પલ્પ, 18 ટકા ગોટલી, 13 ટકા છાલ હોય..
– કેસર કેરીમાં વિટામિન-એ, સી, સુગર, ટીએસએસ, એસિડિટી હોય..



