गुजरात

સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મૂકાયા | sg highway palladium mall junction signal free pilot project



SG Highway Pilot Project: અમદાવાદના એસ.જી. હાઈવે પર રોજ પીક અવર્સમાં થતો ટ્રાફિક નિવારવા માટે તંત્રએ નવો પ્રયોગ શરૂ કર્યો છે. ઑફિસ છૂટવાના સમયે કે વીકેન્ડમાં એસ.જી. હાઈવે પરથી પસાર થવું એટલે ટ્રાફિક જામ, બળતું મોંઘું ઈંધણ અને સમયનો બગાડ. એવામાં એસ.જી. હાઇવેના બે સૌથી વ્યસ્ત જંક્શન પર નવું ટ્રાફિક મેનેજમેન્ટ મોડલ ટ્રાયલ બેઝ પર શરૂ કરાયું છે. 

એસ.જી. હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન મંદિર નજીક ચારેય દિશામાંથી આવતો ટ્રાફિક વિના અવરોધે સતત આગળ વધતો રહે તે માટે સિગ્નલફ્રી ટ્રાફિક મૂવમેન્ટ માટે ‘કેપ્સુલ શેપ’ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્રનો દાવો છે કે આ મોડલથી જંકશન પર વાહનોની અવરજવર વધુ નિયમિત થઈ જશે અને અકસ્માતની શક્યતાઓ પણ ઘટશે. ટ્રાફિક કંટ્રોલ કરવા માટે લોખંડના મજબૂત ડ્રમ્સ અને પ્લાસ્ટિક બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ 52 લોખંડના ડ્રમ્સ અને 54 પ્લાસ્ટિક બેરિયર્સ મૂકવામાં આવ્યા છે. 

1. બ્રિજ નીચે હવે ‘4 કટ્સ’ની નવી ફોર્મ્યુલા

જંક્શનને સિગ્નલ-ફ્રી કરવા માટે ટ્રાફિક રોટેશનમાં મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી પેલેડિયમ મોલ ચાર રસ્તાના બ્રિજ નીચે માત્ર 2 કટ્સ ઉપલબ્ધ હતા, જેને વધારીને હવે 4 કરવામાં આવ્યા છે.

જૂની વ્યવસ્થા: થલતેજ બાજુથી આવતા વાહનો મુખ્ય જંક્શનના 50 મીટર અગાઉથી જમણી બાજુ વળી શકતા હતા. તેવી જ રીતે ગોતા તરફથી આવતા લોકોને પણ 50 મીટર પહેલાં યુ-ટર્ન (U-Turn) માટે કટ મળતો હતો.

નવી વ્યવસ્થા: હવે ઝાયડસ હૉસ્પિટલથી મોલ તરફ (ગોતા બાજુ) જતા બ્રિજ નીચે વધુ એક નવો કટ અપાશે. આ સાથે જ થલતેજ બાજુથી આવતા વાહનો માટે પણ વધારાનો કટ તૈયાર કરવામાં આવશે.

2. થલતેજથી પેલેડિયમ મોલ જનારાઓ માટે ડાયવર્ઝન પ્લાન

સૌથી મોટો ફેરફાર થલતેજ તરફથી આવીને પેલેડિયમ મોલ તરફ જવા માંગતા લોકો માટે છે. થલતેજ તરફથી આવતા વાહનચાલકો ચાર રસ્તા પરથી સીધા ક્રોસ નહીં કરી શકે. તેમણે હાઈકોર્ટની સામે નવા રસ્તા (કટ) પરથી જમણી બાજુ વળવાનું રહેશે. અહીંથી જમણી બાજુ વળીને તેઓ એસ.જી. હાઈ-વે પર સીધા જ પેલેડિયમ મોલ સુધી જઈ શકશે. 

તંત્રનો દાવો: આ પ્રયોગથી વાહનચાલકોને 3 ફાયદા થશે

પીક અવર્સ દરમિયાન જંકશન પર વાહનોએ ઊભા રહેવું નહીં પડે. 

ટ્રાફિક જામ ન થવાના કારણે ઈંધણ અને પૈસાની બચત થશે. 

ટ્રાફિક શિસ્તબદ્ધ થતાં અકસ્માતની સંભાવના ઓછી થશે. 

3 દિવસના આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ રહ્યો તો અમદાવાદ શહેરના અન્ય જંક્શનો પર પણ આ મોડલ લાગુ કરવામાં આવશે. 



Source link

Related Articles

Back to top button