गुजरात

ડીઝલની અછતથી મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ ઠપ્પ: હજારો કન્ટેઈનર્સ અટવાયા | Importers and exporters are in trouble at Mundra



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

મુન્દ્રા બંદર પર કન્ટેઈનર લેવા અને ગુજરાત કે ભારતના અન્ય વિસ્તારોમાંથી નિકાસ માટેના કન્ટેઈનર્સ મૂકવા જતી ટ્રક્સને જોઈતા ડીઝલના જથ્થામાંથી માંડ 10થી 15 ટકા જથ્થો જ કચ્છ જિલ્લાના પેટ્રોલ પમ્પ્સ પરથી મળતો હોવાથી આયાત અને નિકાસના હજારો કન્ટેઈનર્સ અટવાઈ પડ્યા છે. છેલ્લા એક મહિનાથી આ પરિસ્થિતિ હોવાને કારણે ગુજરાતના આયાત નિકાસકારોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. મુન્દ્રા બંદરેથી દુબઈ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા તથા યુરોપિયન સંઘના દેશોમાં નિકાસના કન્ટેઈનર જાય છે. તેમ જ આ તમામ દેશોમાંથી આયાતના કન્ટેઈનર્સ પણ મુન્દ્રા બંદરે આવે છે.

એસોસિએશનને કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખ્યો

મુન્દ્રા કસ્ટમ્સ બ્રોકર એસોસિએશનને આજે કેન્દ્રના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ ખાતાના મંત્રી હરદીપસિંહ પુરીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ સપ્લાય ચેઈનને જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે આ મામલામાં તત્કાળ દરમિયાનગીરી કરવાની જરૂર છે. કારણ કે માલની હેરફેર અટકી પડી છે. માત્ર ગુજરાતમાં થતી આયાત નિકાસના કન્સાઈનમેન્ટ્સ જ નહિ, પરંતુ ઉત્તર ભારત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને મધ્ય પ્રદેશથી આવતા કન્ટેઈનર અટકી પડ્યા છે.

અઠવાડિયામાં માત્ર 50 લીટર ડીઝલ અપાતા ટ્રક ચાલકો નારાજ

કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મુન્દ્રાના પેટ્રોલ પમ્પ પર ટ્રક ચાલકોને અઠવાડિયે 1 જ વાર માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે. આ જથ્થો અત્યંત ઓછો છે. પરિણામે ડીઝલ ભરાવવા માટે ટ્રક અને ટ્રેઈલરની ઘણાં દૂર સુધી મોકલવાની ફરજ પડી રહી છે. દૂરના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પમ્પ પર પણ ડીઝલ મળી શકશે કે નહિ તેની ખાતરી હોતી નથી. પરિણામે ઇંધણ બરબાદ થઈ રહ્યું છે. બીજું, વાહનો લઈ જતી વખતે અધવચ્ચે જ ડીઝલ ખલાસ થઈ જતું હોવાથી ટ્રકને રસ્તા પર જ છોડી દેવાની ફરજ પડી રહી છે. પોર્ટની નજીકના વિસ્તારોમાં કે પછી જે મળે તે પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરીને નીકળી જવાની ટ્રક ચાલકોને ફરજ પડી રહી છે. પરિણામે ટ્રકોની અવરજવરમાં પણ અવરોધો ઊભા થઈ રહ્યા છે.

નિકાસકારોની હાલત બગડી

તેથી જ આયાત અને નિકાસના કન્ટેઈનર્સ અટવાઈ રહ્યા છે. પરિણામે નિકાસકારોની કઠણાઈ વધી રહી છે. આયાતકારોની મુશ્કેલીઓ પણ ઓછી નથી. તેમના માલ પોર્ટ પર જ પડ્યા રહેતા હોવાથી શિપિંગ કંપનીઓએ આપેલી મુદત કરતાં વધુ સમય સુધી કન્ટેઈનર્સ પોર્ટ પર પડી રહેતા હોવાથી ડેમરેજ પેટે દિવસના રૂ. 20,000 ચૂકવવાની ફરજ પડી રહી છે. દરેક શિપિંગ કંપનીઓ પોતપોતાની રીતે ડેમરેજ વસૂલી રહી છે. પરિણામે નિકાસકારોની હાલત બગડી રહી છે. આ ચૂકવણી ડૉલરમાં જ કરવી પડતી હોવાથી તેમની હાલાકીમાં પણ વધારો થઈ રહ્યો છે. પરિણામે કસ્ટમ્સ બ્રોકર, ટ્રાન્સપોર્ટર્સ તમામની મજબૂરી વધી રહી છે.

…તો સપ્લાય ચેઈન પર સીધી અસર પડશે

આ સ્થિતિમાં ફેરફાર ન કરવામાં આવે તો તેવા સંજોગોમાં બંદરના કામકાજ પર પણ ગંભીર અસર પડી શકે છે. તેની સીધી અસર સપ્લાય ચેઈન પર પડશે. પરિણામે દેશની આર્થિક પ્રવૃત્તિ પર પ્રભાવ પડી શકે છે. પરિણામે દરેક ટ્રક કે ટ્રેલરને નિયમિત અને પૂરતો ડીઝલ પુરવઠો ચાલુ કરવાની માગણી પણ કરવામાં આવી છે. પોર્ટ પર આયાત નિકાસના કન્ટેઈનર્સની હેરફેર કરતાં ટ્રકોને અલગ માત્રામાં પૂરતો ડીઝલનો સપ્લાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માગણી કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ તરફથી કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button