બે મહિનામાં જ પ્રેમનો કરુણ અંત! અમદાવાદમાં નેપાળી યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમી ઝડપાયો | Ahmedabad News Krishnanagar Nepalese girl last step case Nepal lover arrested

![]()
Ahmedabad News: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શ્યામલપાર્કમાં મૂળ નેપાળની એક યુવતીએ 15 મેના રોજ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા અને પોતાના જ ગામ નજીક રહેતા યુવક ચેતન બોહરા સાથે આ યુવતી નેપાળથી ભાગીને ગત 24 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ રહેવા આવી હતી. યુવતીના પિતાની ફરિયાદ અને આક્ષેપ છે કે ચેતન દ્વારા અપાતા સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને તેમની દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. આ ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપી યુવક ચેતનની ધરપકડ કરી છે.
શરૂઆતમાં સારી રીતે રાખતો બાદમાં હેરાન કરવાનું શરૂ કર્યું
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે રહીને ચેતન છૂટક મજૂરી કામ કરતો હતો. શરૂઆતના સમયમાં તે યુવતીને સારી રીતે રાખતો હતો, પરંતુ 5 મેના રોજ યુવતીએ પોતાના પિતાને ફોન કરીને પોતાની આપવીતી વર્ણવી હતી. તેણે જણાવ્યું હતું કે ચેતન તેને ખૂબ હેરાન કરે છે અને ઘરની બહાર જવા કે કોઈ સગા-સંબંધીને મળવા પણ દેતો નથી. આ બંધન અને ત્રાસના પરિણામે યુવતીએ ઘર છોડ્યાના બે મહિના જેટલા ટૂંકા સમયમાં જ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
પ્રેમી કપલ નેપાળથી ભાગી અમદાવાદ આવ્યું
આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, ‘કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 15 મેના રોજ નોંધાયેલા અકસ્માત મોતના કેસની તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે મરણ જનાર યુવતીનું નામ ચેતનાબેન જેઉન બિસ્ટ અને આરોપીનું નામ ચેતન ભવિલાલ બોહરા છે, તેમજ આ બંને મૂળ નેપાળના રહેવાસી છે. આ બંને છેલ્લા ચાર-પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા અને નેપાળમાં ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, કારણ કે તેમના ગામ પણ એકબીજાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે જ આવેલા છે. ગત તારીખ 24 માર્ચના રોજ તેઓ નેપાળથી ભાગીને અહીં આવ્યા હતા અને આરોપીના બનેવીની ઓળખાણથી કૃષ્ણનગર વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને રહેતા હતા. આરોપી અહીં ગાડીઓ સાફ કરવાનું અને ધોવાનું છૂટક મજૂરી કામ કરતો હતો. અમારી તપાસમાં તેમની વચ્ચે કોઈ લગ્ન કરાર કે લિવ-ઈન રિલેશનશિપના કરાર થયા હોવાનું જાણવા મળ્યું નથી.’
‘તપાસ દરમિયાન યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ જ્યારે તેના માતા-પિતા પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે તેમની પૂછપરછમાં એવું ફલિત થયું કે આરોપી ચેતન બોહરા મરણ જનારને ખૂબ ત્રાસ આપતો હતો, તે તેની સાથે મારઝૂડ કરતો, પિયર કે અન્ય સગા-સંબંધીઓ સાથે ફોન પર વાત કરવા દેતો ન હતો અને ખાવા-પીવાની બાબતમાં પણ તકલીફ આપતો હતો. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ચેતનાબેને ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના આધારે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’



