આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case

![]()
રાજકીય અદાવતે કાઉન્સિલર આશિષ જોષી સામે ખોટો કેસ કરાયો હોવાના આક્ષેપ સાથે સંખેડા પીઆઈને સસ્પેન્ડ કરી સમગ્ર મામલે કોર્ટ દ્વારા તટસ્થ તપાસની માગ કરાઈ છે.
પૂર્વ વિપક્ષી નેતાએ મ્યુનિ. કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં શાસકપક્ષે સત્તાના જોરે કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હતા. ઉમેદવારનો મત અન્ય વ્યક્તિ આપી જતા બોગસ વોટિંગના પુરાવા સામે આવ્યા છે. મતદારયાદીમાંથી અનેક મતદારોના નામો કમી કરાવી નાખ્યા છે. બનાવોમાં વહીવટીપાંખે પણ સક્રિયપણે નકારાત્મક ભૂમિકા કરી હોવાનું લોકો માની રહ્યા છે, જેનાથી વહીવટીપાંખ તરફ પ્રજાની સ્પષ્ટ નારાજગી જોવા મળેછે.
એમણે વધુમાં ઉમેર્યું કે માનવસર્જિત હરણી બોટકાંડમાં પીડિતોના ન્યાય માટે લડતા કોંગી કાઉન્સિલર આશિષ જોષી સામે ચૂંટણી દરમિયાન સંખેડા પોલીસ સ્ટેશને દારુનો કેસ કરી પોલીસે જોષીની ધરપકડ કરી ત્રાસ ગુજારી ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે અમાનવીય કૃત્ય આચર્યું હોઈપીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવે.
તદુપરાંત,અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ડભોઈના ધારાસભ્યે જોષી સામે બોગસ દારુનો કેસ કરાવ્યો હોવાની ચર્ચા છે, જેથી જ્યુડિશિયલ ઈન્કવાયરી તેમજ દારુનો ખોટો કેસ કરનાર પીઆઈને સસ્પેન્ડ કરી જવાબદાર તમામ સામે ગુનો દાખલ કરવા માગ કરાઈ છે.



