યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે શરુ કરાયેલી બાયોમેટ્રિક સિસ્ટમ હવે શોભાના ગાંઠીયા સમાન પૂરવાર થઈ રહી છે.
જે તે સમયે અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે તમામ ફેકલ્ટીઓમાં લગભગ ૪૦ લાખ રુપિયાના બાયો મેટ્રિક મશિનો વસાવવામાં આવ્યા હતા.ઉપરાંત અધ્યાપકો અને કર્મચારીઓને આઠ કલાક કેમ્પસમાં હાજર રહેવા માટે આદેશ કરાયો હતો.જેની સામે જે-તે સમયે ખાસ કરીને અધ્યાપકોએ વિરોધ પણ કર્યો હતો.આમ છતા આ સિસ્ટમને અમલમાં મૂકવામાં આવી હતી.દર મહિને કોની કેટલી હાજરી નોંધાઈ છે તે ચેક પણ કરવામાં આવતું હતું.
જોકે ડો.શ્રીવાસ્તવે રાજીનામુ આપે એક વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે.તેમની જગ્યાએ આવેલા વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ આ સિસ્ટમમાં વધારે રસ લીધો નથી અને તેના કારણે હવે માંડ ૫૦ ટકા અધ્યાપકો અને કર્મચારીઓ બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરી રહ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, સત્તાધીશો પણ હાજરી પૂરાય છે કે નહીં તે જાણવાની પરવા કરી રહ્યા નથી.એટલે નજીકના ભવિષ્યમાં બાયોમેટ્રિક મશિનો પણ ધૂળ ખાય તેવી શક્યતા છે.જોકે, અધ્યાપકોના એક જૂથનું હજી પણ એવું માનવું છે કે, બાયોમેટ્રિક સિસ્ટમથી નહીં તો બીજી કોઈ રીતે પણ અધ્યાપકની હાજરી તો પૂરાવી જ જોઈએ અને સત્તાધીશોએ તેના પર નજર રાખવી જ જોઈએ.



