ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જાહેર પરિવહન પર ભાર | Fuel Conservation in Daman & Diu: Namo Path and Ram Setu Declared No Vehicle Zones

Daman & Diu News: પશ્ચિમ એશિયા કટોકટીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ સંરક્ષણની હાકલને ધ્યાનમાં રાખીને, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. પ્રશાસકે તમામ નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને જવાબદાર નાગરિક તરીકે દેશહિતમાં ઈંધણનો વપરાશ ઘટાડવા અને ટકાઉ જીવનશૈલી અપનાવવા સત્તાવાર અપીલ કરી છે. વહીવટીતંત્ર દ્વારા કેટલાક મહત્ત્વના પગલાં લેવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે.
18 મે 2026થી પ્રખ્યાત દરિયાકિનારા બનશે ‘નો વ્હીકલ ઝોન’
પર્યાવરણની જાળવણી માટે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. દમણના પ્રખ્યાત સી-ફ્રન્ટ એટલે કે દેવકા ખાતે આવેલો ‘નમો પથ’ અને જામ્બોરી ખાતે આવેલો ‘રામ સેતુ’ હવેથી ‘નો વ્હીકલ ઝોન’ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. 18 મે 2026થી આ વિસ્તારોમાં માત્ર સાઇકલ, ઇલેક્ટ્રિક વાહનો અને પદયાત્રીઓને જ મંજૂરી આપવામાં આવશે. પ્રવાસીઓ અને સ્થાનિકોને આ પ્રદૂષણ મુક્ત ઝોન જાળવવામાં સહકાર આપવા જણાવાયું છે.
જાહેર પરિવહન અને વર્ક ફ્રોમ હોમ પર ભાર
બસ સેવાનો ઉપયોગ: દમણમાં ગામડાઓને જોડતા નવા બસ રૂટ શરૂ કરીને જાહેર પરિવહન વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોના બદલે સરકારી બસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા છે.
વર્ક ફ્રોમ હોમ: દૈનિક મુસાફરી અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે જે સંસ્થાઓ કે વ્યક્તિઓ માટે શક્ય હોય, તેમને ‘વર્ક ફ્રોમ હોમ’ની પદ્ધતિ અપનાવવા જણાવાયું છે.
કારપૂલિંગ અને EV: રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે ‘કારપૂલિંગ’ (એક જ વાહનમાં ભાગીદારીમાં મુસાફરી) કરવા અને ધીમે-ધીમે પેટ્રોલ-ડીઝલના બદલે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા અપીલ કરાઈ છે.
રસોડાથી લઈને ખેતર સુધી બદલાવની અપીલ
PNGનો ઉપયોગ: LPG સિલિન્ડર પરની નિર્ભરતા ઘટાડવા માટે નાગરિકોને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ એવા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) જોડાણનો ઉપયોગ કરવા જણાવાયું છે.
ખેતી અને ભોજન: પ્રશાસને પરિવારોને રસોઈમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા વિનંતી કરી છે.
બિનજરૂરી ખર્ચ અને વિદેશ પ્રવાસ ટાળવા સલાહ
આર્થિક સમજદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા લોકોને અત્યારે બિનજરૂરી સોનાની ખરીદી ન કરવા અને વિદેશ પ્રવાસના આયોજનો હાલ પૂરતા મુલતવી રાખવા સલાહ આપવામાં આવી છે.




