આસિ. પ્રોફેસરનો અનુભવ ગ્રાહ્ય રાખવા મુદ્દે માર્ગદર્શન નહીં મળતા ભરતી સ્થગિત | Recruitment suspended due to lack of guidance on considering experience of Assistant Professor

![]()
એસો. પ્રોફેસર અને પ્રોફેસર સહિતની નવી નિમણૂક સ્થગિત : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અભિપ્રાયને અનુસરવામાં આવે તો UGCના નિયમોનું ઉલ્લંઘન થાય છે : 4 મહિનાથી અટકવાતી ભરતી પ્રક્રિયા
રાજકોટ, : રાજ્યનાં ઊચ્ચ શિક્ષણાધિકારી વિભાગની વિચિત્ર નીતિને લીધે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર સહિતની ભરતી પ્રક્રિયા અટકી પડી હોવાનો અભિપ્રાય સૌરાષ્ટ્ર યુનિ.ની પસંદગી સમિતિના તજજ્ઞાો દ્વારા આપવામાં આવ્યો હતો. યુનિ.માં અધ્યાપકોની ૫૩ ખાલી જગ્યા ભરવા માટે સંખ્યાબંધ અરજી આવી છે. પરંતુ આસી. પ્રોફેસરનો અનુભવ લાયકાત તરીકે ગ્રાહ્ય રાખવો કે કેમ? તે અંગે છ મહિનાથી માર્ગદર્શન માગવામાં આવ્યું હોવા છતાં સરકારે જવાબ આપ્યો નથી.
સૌરાષ્ટ્રમાં સરકારી યુનિ.ઓમાં નવા શૈક્ષણિક સત્રથી નવા અધ્યાપકોની નિમણૂંક થઇ જશે. તેવી આશાએ ત્રણ મહિના પહેલાં અધ્યાપકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂદી – જૂદી યુનિવર્સિટીઓ દ્વારા અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મગાવવામાં આવતા સંખ્યાબંધ ઉમેદવારોએ નોકરી માટે અરજી કરી હતી. યુ.જી.સી.ના ધારાધોરણો મુજબ ફિક્સ પગાર મેળવતા અધ્યાપકોનો અનુભવ અધ્યાપકની ભરતીમાં ગ્રાહ્ય રાખવામાં આવતો નથી. જ્યારે રાજ્ય સરકારે આ અનુભવ ગ્રાહ્ય રાખવાનો અભિપ્રાય આપતા તમામ યુનિ.ના સત્તાવાળાઓએ ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા અટકાવી દઇને રાજ્ય સરકારને સ્પષ્ટ સુચના આપવા જણાવ્યું છે. રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અભિપ્રાયનું પાલન કરવામાં આવે તો યુ.જી.સી.ના નિયમોનો ભંગ થાય છે. આ બાબતે જો કોઇ હાઇકોર્ટમાં રીટ કરે તો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અટકાવી દેવી પડે આ સંજોગોમાં ઊચ્ચ શિક્ષણ વિભાગનો આદેશ જરૃરી હોવાનું જણાવી યુનિ.ના સૂત્રો ઉમેરે છે કે પ્રોફેસર, આસી. પ્રોફેસર ઉપરાંત પરીક્ષા નિયામક, શારીરિક શિક્ષણ નિયામક લાયબ્રેરીયન સહિતની પોસ્ટ માટે આસી. પ્રોફેસરનો અનુભવ જરૃરી છે. પરંતુ ખાનગી કોલેજની કામગીરીનો અનુભવ ગ્રાહ્ય રાખવો કે કેમ? તે અંગે નિશ્ચિત ગાઇડ લાઇન નહીં હોવાથી તમામ ટીચિંગ પોસ્ટની ભરતી પ્રક્રિયા અત્યારે અટકી ગઇ છે. જેના કારણે વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રથી નવા અધ્યાપકો મેળવવાનું કામ મુશ્કેલ છે.



