गुजरात

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ | Ahmedabad Plane Crash Victim’s Widow Questions Tata Airline Promises After 11 Months


Ahmedabad Plane Crash: ગયા વર્ષે જૂન મહિનાની એ ગોઝારી બપોર હજુ પણ અમદાવાદીઓના માનસપટ પરથી ભૂંસાઈ નથી. અમદાવાદના મેઘાણીનગર પાસે એર ઈન્ડિયાનું વિમાન 171 ક્રેશ થયું અને અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયા. આજે આ ઘટનાને 11 મહિના પૂરા થયા છે, પરંતુ પીડિતો માટે ન્યાયની આશા હજુ પણ ધૂંધળી દેખાઈ રહી છે. ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ આપેલા આશ્વાસનો હવે પીડિતો માટે માત્ર ‘ઈમેલના ડ્રાફ્ટ’ બનીને રહી ગયા છે.

વચનોની પાંખો કપાઈ: હેતલબેનની લાચારી અને લડત

આ દુર્ઘટનામાં સૌથી વધુ કરૂણ કિસ્સો મહેશ જીરાવાલાનો હતો, જેઓ પોતાની મીટિંગ પતાવીને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા અને આકાશી આફતનો ભોગ બન્યા. તેમના પત્ની હેતલબેન પ્રજાપતિએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે, શરૂઆતમાં ટાટા ગ્રુપના પ્રતિનિધિઓ અને અનીશા મોતવાણી નામનાં મેમ ઘરે આવ્યા હતા.તેમણે તે સમયે વચન આપ્યું હતું કે હેતલબેનની શૈક્ષણિક લાયકાત મુજબ તેમને યોગ્ય નોકરી અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. 

ગુજરાત સમાચાર ડિજિટલ સાથેની ખાસ વાતચીતમાં હેતલબેન કહે છે, “આજે 11 મહિના વીતી ગયા, મેં અનેક ફોન અને ઈમેલ કર્યા પણ સામેથી કોઈ જ વળતો જવાબ મળતો નથી. ગયેલી વ્યક્તિ તો ક્યારેય પાછી આવવાની નથી, પણ શું મારે આખી જિંદગી આ રીતે લાચારીમાં જીવવાનું? મારું ભવિષ્ય અને કરિયર અત્યારે અંધકારમાં છે. હું જાણું છું કે ગયેલી વ્યક્તિ તો હવે પાછી આવવાની નથી, પરંતુ હવે મારે આખી લાઈફ કાઢવાની છે” હાલમાં હેતલબહેન પોતાના માતા-પિતા સાથે રહી પોતાના હક માટે લડત ચલાવી રહ્યા છે.

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ 2 - image

તંત્રની ઉદાસીનતા: સીસીટીવી ફૂટેજ માટે પણ પરિવારે ભટકવું પડ્યું

હેતલબેને પોલીસ તંત્ર સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, “ઘટના બાદ જ્યારે તેઓ નરોડા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા ત્યારે પીએસઆઈએ કોઈ યોગ્ય પ્રતિસાદ આપ્યો નહોતો. પરિવારે પોતે એક અઠવાડિયા સુધી રઝળપાટ કરીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ છેક 19 તારીખે મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. 12મી જૂન, 2025ના રોજ પરિવારજનોએ ડીએનએ સેમ્પલ આપ્યા હતા અને 19મી જૂન, 2025ના રોજ પોલીસનો ફોન આવ્યો કે ડીએનએ મેચ થઈ ગયો છે. ત્યારબાદ 21મી જૂન, 2025ના રોજ જ્યારે અમે મૃતદેહ લેવા ગયા, ત્યારે તેઓએ અમને મોપેડના ચેસીસ નંબર આપ્યા હતા.” આ સંઘર્ષ દર્શાવે છે કે પીડિતોને માત્ર એરલાઇન્સ જ નહીં, પણ વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ મળ્યો નથી.

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી, 20,665 કરોડનો થશે ખર્ચ

મોહમ્મદ રફીકભાઈનો સવાલ: “વળતર અને દીકરાનો સામાન ક્યાં?”

દીવના ડ્રાઇવિંગ કરતા મોહમ્મદ રફીકભાઈ માટે આ 11 મહિના કાળરાત્રિ સમાન રહ્યા છે. તેમણે પોતાના વહાલસોયા દીકરા ફેજાનને આ દુર્ઘટનામાં ગુમાવ્યો. રફીકભાઈનો આક્રોશ એ વાત પર છે કે અન્ય લોકોને વળતર મળી ગયું છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ આર્થિક સહાય મળી નથી. તેમણે કહ્યું, “અમે ગરીબ માણસો છીએ. તેઓએ અમારી પાસે આવવા-જવાના અને રહેવાના ખર્ચના બિલો મંગાવ્યા, અમે આપ્યા, છતાં આજે કોઈ જવાબ નથી. મારા દીકરાનો સામાન પણ મને હજુ સુધી સોંપવામાં આવ્યો નથી. એર ઈન્ડિયાની કોઈ લોકલ ઓફિસ નથી, હવે અમારે ન્યાય માંગવા જવું ક્યાં?” તેમના જેવા અંદાજે 260 લોકો અત્યારે દિશાહીન બનીને ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

બ્લેક બોક્સનો ડેટા: કેમ છુપાવવામાં આવી રહ્યું છે સત્ય?

આ સમગ્ર મામલે હવે 200 જેટલા પીડિત પરિવારો એક થઈને મેદાને પડ્યા છે. કવિરાજ કુલદીપભાઈના જણાવ્યા અનુસાર, પરિવારોની મુખ્ય માંગ ‘બ્લેક બોક્સ’નો રો ડેટા મેળવવાની છે. 6000 પાયલોટ ધરાવતી સંસ્થા FIPના પ્રેસિડન્ટ સીએસ રંધાવાએ પણ ભારત અને યુકેની એવિએશન એજન્સીઓને પત્રો લખ્યા છે, પરંતુ કોઈ મચક આપતું નથી.

પીડિત પરિવારો સવાલ પૂછી રહ્યા છે કે, વિમાન દુર્ઘટના પાછળનું અસલી કારણ શું હતું? શું કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી માનવીય ભૂલ? બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે?

12 જૂને ક્રેશ સાઈટ પર ભાવભીની શ્રદ્ધાંજલિ અને પ્રદર્શન

આગામી 12 જૂન, 2026ના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે. આ દિવસે પીડિત પરિવારો ક્રેશ સાઈટ પર એકઠા થઈને શ્રદ્ધાંજલિ સભા યોજશે. તેમની માંગણી છે કે જે જગ્યાએ વિમાન તૂટી પડ્યું હતું તે જમીનનું શુદ્ધિકરણ કરવામાં આવે અને ત્યાં સર્વધર્મ પ્રાર્થના માટેની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.

ન્યાયની આ લડાઈ હવે સોશિયલ મીડિયાથી લઈને પીએમઓ સુધી પહોંચી છે. પીડિતોએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને એવિએશન મિનિસ્ટરને પણ પત્રો લખ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ‘ટાટા’ જેવી મોટી કંપની પોતાના વચનો પાળીને હેતલબેન અને રફીકભાઈ જેવા સેંકડો પરિવારોના આંસુ લૂછે છે કે પછી આ મામલો ઠેબા ચડતો રહેશે.

ટાટા એરલાઇન્સના અધૂરા વાયદા

ટાટા એરલાઇન્સના વચનો વિશે વાત કરતા હેતલ બહેને જણાવ્યું કે, ‘વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ અને એરલાઇન્સના પ્રતિનિધિઓ (જેમાં અનીશા મોતવાણી નામના અધિકારી પણ સામેલ હતા) વડોદરા સ્થિત મારા ઘરે મને મળવા આવ્યા હતા. તેણે તાત્કાલિક રાહત માટે મને ફાઇનાન્શિયલ વળતર (કમ્પેન્સેશન) પૂરું પાડ્યું હતું. સાથે જ તેણે આશ્વાસન આપ્યું હતું કે મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પ્રમાણે તેઓ મને નોકરી (જોબ) અને રહેવાની વ્યવસ્થા (અકોમોડેશન) પૂરી પાડશે.’

આ વચનો માત્ર કાગળ પર જ રહ્યા હોય તેમ જણાવતા હેતલ બહેને કહ્યું કે, ‘આજે 11 મહિના જેટલો સમય વીતી ગયો છે અને મેં તેમને ઘણાં ઇમેલ તથા ફોન કર્યા હોવા છતાં, નોકરી બાબતે તેમનો કોઈ જ પ્રત્યુત્તર આવતો નથી. આ ક્રિટિકલ સમયગાળામાં મારો પોતાનો પણ અકસ્માત થયો હતો, છતાં અત્યારે ટાટા ગ્રુપ કે એરલાઇન્સ મારી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.’

ન્યાય અને ભવિષ્યની માંગણી

પીડિત હેતલ બહેન પ્રજાપતિની હવે મુખ્ય માંગ એ છે કે તેમને બ્લેક બોક્સનો પૂરેપૂરો ડેટા આપવામાં આવે. તેમણે કહ્યું કે, ‘અમને એ જાણવાનો પૂરો હક છે કે મારા પતિ સાથે ખરેખર શું ઘટના બની હતી. હું જાણું છું કે ગયેલી વ્યક્તિ તો હવે પાછી આવવાની નથી, પરંતુ હવે મારે આખી લાઈફ કાઢવાની હોવાથી, મારા કરિયર માટે તેમણે આપેલું નોકરીનું વચન તેઓ પૂરું કરે તેવી મારી અપેક્ષા છે.’ હાલમાં હેતલબહેન પોતાના માતા-પિતા સાથે રહી રહ્યા છે અને પોતાના હક માટે લડત ચલાવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button