નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG exam 4922 students of the district will have to sit for the exam again

![]()
તા.૩ મેના રોજ શહેરના ૧૫ કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ હતી
નવી પરીક્ષા તારીખ, સાનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની રજૂઆત
ભાવનગર – ધો.૧૨ બાદ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા નીટ પરીક્ષાનું મહત્વ હોય છે. ભાવનગરના ૧૫ કેન્દ્રો પર ૪૯૨૨ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરંતુ પેપર લીક થતા અંતે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાતા મહેનતુ અને કાર્યદક્ષ છાત્રોમાં નારાજગી ફેલાઇ છે. જ્યારે પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જરૃરી મહત્વપૂર્ણ માંગણીઓ પણ નેશનલ ટેસ્ટીંગ એજન્સી સમક્ષ કરાઇ છે.
નીટ (યુજી) ૨૦૨૬ પરીક્ષા અંગે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલ પરીક્ષા રદ્દ કરી પુનઃ પરીક્ષા લેવાનો નિર્ણય લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે અત્યંત ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓએ લાંબા સમય સુધી અવિરત મહેનત, માનસિક દબાણ અને પરિવારના સહકાર સાથે ભાવનગરમાં ૪૯૨૨ વિદ્યાર્થીઓએ ૧૫ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપી હતી. જે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે નિઃસંદેહ વિદ્યાર્થીઓ માટે માનસિક, શૈક્ષણિક અને શારીરિક રીતે પડકારજનક બાબત બની છે. ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી પુનઃ પરીક્ષાની તારીખો શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવા, વિદ્યાર્થીઓને પુરતો તૈયારી સમય અને માનસિક સહાય આપવામાં આવે, પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા અને ગોપનીયતા માટે વધુ કડક વ્યવસ્થા અમલમાં મુકવા તથા પરીક્ષા પ્રક્રિયામાં ટેકનોલોજી આધારિત પારદર્શિતા અને જવાબદારી વધુ મજબુત બનાવવા તેમજ ગ્રામ્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા માટે વધારાના આર્થિક અથવા વ્યવસ્થાકીય બોજનો સામનો ન કરવો પડે તેની ખાસ કાળજી લેવાય અને તૈયારી માટે શાળાઓમાં વેકેશન દરમિયાન પણ વર્ગો ચલાવવાની મંજુરી આપવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે.



