અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ કેવી રીતે પકડાયો! | Ahmedabad News evidence found accused arrested in dead body case on Sabarmati river bank

![]()
Ahmedabad Crime News: તમે એક વાત તો સાંભળી હશે કે, ગુનેગાર ભલે ગમે એટલો હોંશિયાર હોય પણ તે ગુનો કર્યા પછી એકાદ સબૂત તો છોડતો જ જાય છે. બસ, આવું જ ગત એપ્રિલ મહિનામાં એક કડી મળી અને અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ભડભડ સળગતી લાશનો કોયડો ઉકેલાયો. ગત 12 એપ્રિલે સરખેજ પોલીસની ટીમને સાબરમતી નદીના પટમાં એક લાશ સળગતી હોવાની જાણ થઈ. સ્થળ પર પોલીસે જોયું તો લાશ અડધાથી વધુ સળગી ગઈ હતી. પોલીસ વાનમાંથી પાણી લાવી આગ ઓલવી અને તાબડતોબ તપાસ શરૂ કરી. ગુનેગારો એટલા ચાલાક હતા કે ડિજિટલ ફૂટપ્રિન્ટ ન મળે તે માટે તેઓ કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ કે મોબાઈલનો ઉપયોગ કરતા ન હતા. પરંતુ લાશને સળગાવવાની ઉતાવળમાં તેઓ ડીઝલની વાસ મારતું એક મામૂલી સફેદ પ્લાસ્ટિકનું બૂચ ત્યાં જ ભૂલી ગયા અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો.
પોલીસે મર્ડર મિસ્ટ્રી જણાવી
મહત્ત્વનું છે કે, આ મર્ડર મિસ્ટ્રી અંગે તપાસ અધિકારીએ ગુજરાત સમાચાર ડિજિટલની ટીમ સાથે વિગતવાર વાત કરી હતી અને અડધાથી વધુ સળગેલી લાશ મળ્યા બાદ કેવી રીતે તપાસ કરીને હત્યાનો કોયડો ઉકેલ્યો તે જણાવ્યું હતું.
શું છે સમગ્ર કેસ?
12 એપ્રિલના રોજ વહેલી સવારે 4 થી 5 વાગ્યાના અરસામાં સરખેજ પોલીસની પેટ્રોલિંગ ટીમને વણઝર નદીના કિનારે એક સળગતી લાશ મળી આવી હતી. પોલીસે પોતાની ગાડીમાં રહેલા પાણીથી આગ બુઝાવી અને તરત જ ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરી. જાણ થતાં જ એક કલાકની અંદર DCP, ACP અને LCBની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ શરૂ કર્યું.
3 પુરાવાઓ મળ્યા
ગુનાના સ્થળને કોર્ડન કરીને તપાસ કરતા પોલીસના ઉપરી અધિકારીઓને 3 મુખ્ય પુરાવાઓ મળ્યા, લાશ પાસે પડેલા કેટલાક લાકડા, લાશથી થોડે દૂર પડેલું ડીઝલની વાસ મારતું સફેદ પ્લાસ્ટિકનું બૂચ અને રિક્ષાના ટાયરના નિશાન. આ પુરાવાઓને આધારે તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી 3 પ્લાન બનાવ્યા, જેમાં CCTV ફૂટેજ ચેક કરવા, નજીકના પેટ્રોલ પંપ પર તપાસ કરવી અને શંકાસ્પદ રિક્ષાની તપાસ કરવાની હતી.
પેટ્રોલ પંપથી મળ્યું પગેરું
આ તપાસ દરમિયાન LCBની ટીમને વણઝર ગામની બહાર રિંગ રોડના એચપી પેટ્રોલ પંપ પરથી એક વ્યક્તિ સફેદ કેરબામાં ડીઝલ લઈ જતો હોવાનું CCTV ફૂટેજમાં જોવા મળ્યું. પેટ્રોલ પંપના કર્મચારીએ પણ આ વાતની પુષ્ટિ કરી કે તે વ્યક્તિએ 1000 રૂપિયા આપીને સફેદ કેરબામાં ડીઝલ ખરીદ્યું હતું. ફૂટેજની વધુ તપાસ કરતા ખબર પડી કે તે વ્યક્તિ એકલો ન હતો, પરંતુ બાઇક પર અન્ય બે લોકો પણ બહાર તેની રાહ જોઈ રહ્યા હતા.
આરોપીને શોધવો મુશ્કેલ હતો, મિત્ર પર વોચ રખાઇ
LCBને બાતમીદારો પાસેથી વધુ તપાસ કરતા માહિતી મળી કે ડીઝલ લેવા જનાર વ્યક્તિનું નામ દીપક રાવળ હતું. દીપક અનાથ હતો અને કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ કે ફોનનો ઉપયોગ કરતો ન હતો, જેથી તેને શોધવો મુશ્કેલ હતો. આખરે પોલીસે દીપક જેની સાથે રહેતો હતો તે મિત્ર રાહુલના ડિજિટલ ફૂટપ્રિન્ટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની એક્ટિવિટીઝ ટ્રેક કરીને શંકાસ્પદ નંબરો અલગ કર્યા અને તેનું લોકેશન મેળવ્યું.
મૃતક જાવેદ બાતમી આપતો હોવાની શંકા હતી
તે જ સમયે બાતમીદારોએ માહિતી આપી કે ધોળકા-સરખેજ બ્રિજ નીચે એક રિક્ષામાં દીપક, મુખ્ય આરોપી જીતુ અને તેનો મિત્ર રાહુલ છુપાયેલા છે, જ્યાંથી પોલીસે કોર્ડન કરીને તેમને પકડી પાડ્યા. પૂછપરછમાં જાણવા મળ્યું કે જીતુ અગાઉ દારૂના ગુનામાં સંકળાયેલો હતો અને તેના પર કપડવંજ પોલીસ સ્ટેશનમાં વોરંટ પણ ચાલતું હતું. જીતુને શંકા હતી કે રિક્ષાચાલક મૃતક જાવેદ પોલીસને તેની બાતમી આપતો હતો, જેથી આ અદાવતમાં તેણે હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?
હત્યાના કાવતરા મુજબ ગત મહિનાની 12 તારીખે જીતુએ જાવેદને ધોળકા રિક્ષા સ્ટેન્ડ પર જોયો અને બાઇક લઈને આવેલા પોતાના મિત્રો દીપક અને રાહુલને ત્યાં બોલાવ્યા. જીતુએ દીપકને 500 રૂપિયા આપીને જાવેદની રિક્ષા વણઝર જવા માટે ભાડે કરાવી અને રામદેવ ટી સ્ટોલ પાસે દીપક ઉતરી ગયા બાદ જીતુ પોતે રિક્ષામાં બેસી ગયો. જીતુ જાવેદને નદીમાં લઈ ગયો અને ત્યાં તેની છાતીમાં એટલી જોરથી છરો માર્યો કે છરો પાછો ખેંચતી વખતે તેનું હેન્ડલ પણ બહાર આવી ગયું, ત્યારબાદ ત્રણેયે મળીને લાશને નદીમાં ફેંકી દીધી.
હત્યા કર્યા બાદ તેઓ જાવેદની રિક્ષામાં જ લાકડા લાવ્યા અને લાશને સળગાવી, પરંતુ લાશને સળગવામાં વાર લાગતી હોવાથી દીપકને ડીઝલ લેવા મોકલ્યો હતો. ઉતાવળમાં તેઓ ડીઝલના સફેદ કેરબાનું બૂચ ત્યાં જ ભૂલી ગયા, જે પોલીસ માટે સૌથી મોટો પુરાવો બન્યો. પોલીસ પકડી ન પાડે તે માટે તેઓ જાવેદની રિક્ષા લઈને 30-35 કિલોમીટર દૂર પીપળજ ગામે ગયા, જ્યાં પેટ્રોલ પંપથી 500 રૂપિયાનું ડીઝલ લાવીને રિક્ષા અને પેલો કેરબો બંને સળગાવી દીધા. પોલીસે માત્ર 4 થી 5 કલાકમાં જ પહેલી કળી મેળવીને સતત તપાસ કરી આ સંપૂર્ણ હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો હતો.



