गुजरात

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Family from Bhavnagar Killed as Car Plunges into Gorge



Himachal Pradesh Accident : હિમાચલ પ્રદેશથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મનાલી ફરવા ગયેલા ગુજરાતી પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. માહિતી અનુસાર વહેલી સવારે મનાલીથી બેલા જતી વખતે ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઇને ખીણમાં ખાબકી ગઇ હતી. કારમાં સવાર કુલ 9 લોકો ખીણમાં ખાબકી ગયાની માહિતી સામે આવી હતી. જેમાંથી 4ને તો બચાવાયા પણ 5 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.  

મનાલી ફરવા ગયો હતો ભાવનગરનો પરિવાર 

હિમાચલ પ્રદેશના મનાલીમાં પ્રવાસે ગયેલા ભાવનગરના એક ગુજરાતી પરિવાર માટે પ્રવાસનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો છે. મનાલીથી બેલા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારની કાર અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં ખાબકતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. 

મૃતકોની યાદી જાહેર કરાઈ 

આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં લલિત ફતનાની,  સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનો સમાવેશ થાય છે. જ્યારે મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીને બચાવી લેવામાં આવ્યા હતા. 

વહેલી સવારે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત વહેલી સવારે તે સમયે થયો જ્યારે પરિવાર મનાલીથી બેલા તરફ આગળ વધી રહ્યો હતો. પહાડી રસ્તા પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ખીણમાં જઈ પડી હતી. કારમાં કુલ 9 લોકો સવાર હતા.

રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખીણમાં ખાબકેલા 9 લોકોમાંથી 4 વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે, અન્ય 5 લોકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

પરિવારમાં શોકનું મોજું

મૃતકો ભાવનગરના રહેવાસી હોવાની પુષ્ટિ થતા જ ભાવનગર અને ખાસ કરીને સિંધી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ કરી રહી છે.



Source link

Related Articles

Back to top button