કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 ચિત્તા લાવાશે! | Cheetah reintroduction in Banni Grasslands Project Kutch NTCA Greenlights

![]()
Cheetah Reintroduction In Banni Kutch: કચ્છના બન્નીમાં ચિત્તાના પુનઃવસવાટ માટે છેલ્લા અઢી વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની લીલી ઝંડી આપી છે, ત્યારે આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં 4 ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની શક્યતા છે.
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી
બન્નીમાં ઘણાં દાયકાઓ પહેલા વિશાળ કદનું ખાસ જોવા મળતું. વન વિભાગના સૂત્રો અનુસાર, બન્નીના ઘાસિયા મેદાનોમાં કેન્યાથી ચિત્તા લાવવાની તૈયારી છે. જેમાં પ્રથમ તબક્કે બે નર અને બે માદા લાવવામાં આવશે. આમ, વર્ષ દરમિયાન કુલ 12 ચિત્તા લાવાશે તેવું જણાય છે. જેમાં શરૂઆતમાં ચિત્તાઓને એક મહિના સુધી ક્વોરન્ટાઈનમાં રાખ્યા બાદ બન્નીના સંરક્ષિત વિસ્તારોમાં છોડાશે.
બન્નીના ઘાસિયા મેદાનમાં બનેશે અભયારણ્ય
કચ્છના બન્નીમાં ચિત્તાના પુનર્વસન માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024થી બન્નીના ઘાસિયા મેદાનમાં પાંચસો હેક્ટરથી વધુ વિશાળ જમીનમાં 20 કરોડના ખર્ચે ચિત્તાના આવાસ વિહાર માટે અનુકૂળ અભયારણ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં બન્નીના ભગાડિયા અને આસપાસના વિસ્તારોમાં દસેક કિલોમીટર લાંબી કાંટાળી વાડથી સજ્જ સંરક્ષિત ખુલ્લું અભયારણ્ય વિકસાવાયું છે.
આ પ્રોજેક્ટ હેઠળ બન્નીમાં પાણીના પોઈન્ટ, કૃત્રિમ શેડ, ચિત્તા માટે ખાસ ટેકરા વાળો વિસ્તારો સહિત ચિત્તાના શિકાર અને આહાર માટે ચિંકારા બ્રિડિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, આમાં અત્યાર સુધીમાં 14.70 કરોડનો ખર્ચ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
મળતી માહિતી મુજબ, ભારતમાં વર્ષ 1952માં ચિત્તાને વિલુપ્ત પ્રજાતિ તરીકે જાહેર કરાયેલા. કચ્છમાં છેલ્લે 1839 અને 1872માં ચિત્તા વિચરતાં હોવાના પ્રમાણો જણાય છે. છેલ્લે 1940માં ગુજરાતના વિસાવદરમાં ચિત્તો દેખાયો હતો.


