વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી ‘રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા | Vadodara’s English teacher spends 20 months writing ‘Ramayana’ 2000 pages by hand

![]()
Vadodara : કોરોના મહામારીના વિનાશક દિવસોમાં રસ્તાઓ સૂમસામ બની ગયા હતા અને દરેક ઘરમાં પ્રાર્થનાનો સ્વર ગુંજી રહ્યો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં વડોદરાની એક શિક્ષિકાએ નિરાશાને બદલે ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.
સિતાર વિષયમાં અનુસ્નાતક અને અંગ્રેજીની શિક્ષિકા રેખાબેન ઠક્કરે પોતાના એકાંતને આધ્યાત્મિક યાત્રામાં પરિવર્તિત કરી હતી. કોરોનાકાળ દરમિયાન ટીવી પર રામાયણના પુનઃપ્રસારણે બાળપણની યાદો તાજી કરી અને કંઈક સર્જનાત્મક કરવાની પ્રેરણા આપી જે ધીમે ધીમે એક વિશાળ સર્જનમાં પરિવર્તિત થઈ હતી.
લગભગ 20 મહિનાના પરિશ્રમ અને અડગ શ્રદ્ધાથી તેમણે 2000 પાનાનું હસ્તલિખિત હિન્દી ભાષામાં રામાયણ તૈયાર કર્યું હતું. આ સર્જન માટે વડોદરાના હરણી વારસિયા રિંગરોડ વિસ્તારમાં રહેતા રેખાબેને વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરીમાંથી વિવિધ સંસ્કરણોનો અભ્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોના સમયમાં જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા ત્યારે આ હસ્તલિખિત રામાયણ મારા માટે આત્મિક શાંતિ અને શક્તિનું સ્ત્રોત બન્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે હું રામાયણનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરી રહી છું.



