રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigorous imprisonment for taking bribe of Rs 3 50 lakh

![]()
મોટામવાના સરપંચની હત્યામાં એક શખ્સનું નામ નહીં ખોલાવવા લાંચ માગી હતી
17 વર્ષ જૂના કેસમાં રાજકોટની ખાસ અદાલતનો ચુકાદો, આરોપી પીઆઇ 2013માં નિવૃત થયા હતા
રાજકોટ: મોટામવા ગામના સરપંચ મયુર શિંગાળાની હત્યાના ગુનામાં નામચીન આરોપી રમેશ રાણા મકવાણાનું નામ નહીં ખોલાવવા બદલ રૂા.૩.૫૦ લાખની લાંચ લેવાના કેસમાં પકડાયેલા રાજકોટ તાલુકા પોલીસ મથકનાં તત્કાલીન પીઆઇ અને હાલ નિવૃત સી.પી.ગોસાઇ (ઉ.વ.૭૨)ને ખાસ અદાલતનાં જજ વી.એ.રાણાએ તકસીરવાન ઠરાવી બે વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
ગઇ તા.૧૮-૧૧-૨૦૦૯નાં રોજ મયુરભાઇની હત્યા થઇ હતી. જેમાં નામચીન રમેશ રાણાની પણ સંડોવણી હોવાની રજૂઆત થતા તાલુકા પોલીસ મથકનાં તત્કાલીન પીઆઇ ચંદુલાલ પુજગર ગોસાઇએ તેને બોલાવી તેનું નામ નહીં ખોલાવવા માટે રૂા.૧૫ લાખની લાંચ માગી હતી. રકઝકનાં અંતે રૂા.૩.૫૦ લાખમાં સોદો કર્યો હતો. જેમાંથી રૂા.૨ લાખ ટ્રેપના દિવસે સવારે લઇ લીધા હતા.
બાકીના રૂા.૧.૫૦ લાખ આપતા પૂર્વે ફરિયાદી રમેશ રાણાએ એસીબીમાં ફરિયાદ કરતાં તત્કાલીન પીઆઇ કે.બી.ઝાલાએ પીઆઇ ગોસાઇને તેની ચેમ્બરમાંથી રૂા.૧.૫૦ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. લાંચની રકમ પીઆઇ ગોસાઇએ ફરિયાદી રમેશ રાણા પાસેથી લઇ પોતાના ટેબલ પર રાખી દીધી હતી. તે સાથે જ એસીબીની ટીમે તેને ઝડપી લીધા હતા.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી તેની ૭૨ વર્ષની ઉંમરને ધ્યાનમાં લઇ બે વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા. આરોપી સી.પી.ગોસાઇ ૨૦૧૩ની સાલમાં નિવૃત થઇ ગયા હતા.



