‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્યું | Gujarat BJP Chief Jagdish Vishwakarma Statement on Geniben Thakor

![]()
Jagdish Vishwakarma Statement On Geniben: પાલનપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોરને લઈને આપેલા નિવેદનથી રાજકારણમાં એક મોટો વિવાદ વકર્યો છે. આ નિવેદન અંગે ઋષિભારતીએ મહિલાઓના અપમાનનો મુદ્દો ઉઠાવીને આકરા પ્રહારો કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના વિવાદિત નિવેદન મુદ્દે બળદેવજી ઠાકોર સહિત વિરોધ પક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
ગેનીબેન ઠાકોર પર ભાજપ પ્રદેશ પ્રમુખનું વિવાદિત નિવેદન
પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા ગેનીબેન ઠાકોર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘નારી વંદના અધિનિયમ અંતર્ગત તમે દેશની 70 કરોડ મહિલાઓનું જે અપમાન કર્યું છે એ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. આગામી દિવસોમાં એનો કરારો જવાબ આપતા અમારી માતા-બહેનોએ તમારા ગઢમાંથી તમારી સીટો તમારી સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે.’
ઋષિભારતીના જગદીશ વિશ્વકર્મા પર નામ લીધા વગર પ્રહાર
આ વિવાદ અંગે ઋષિભારતીએ જગદીશ વિશ્વકર્માનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘અમુક પાર્ટીના પ્રમુખોને શું બોલવું તેનું ભાન જ નથી હોતું અને તેઓ હાથમાં સ્ક્રિપ્ટ લઈને ઇલેક્ટ્રોનિક મશીનની જેમ બડબડાટ કરતા હોય છે. કોઈ પાર્ટીનો પ્રમુખ એવું કહે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા, તો આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખવા જેવી વાત છે. આ અત્યંત અભદ્ર વર્તણૂક છે અને તે તેમની અત્યંત નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે.’
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માએ કરેલી વિવાદિત ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખના વિવાદિત નિવેદન મુદ્દે બળદેવજી ઠાકોરે કહ્યું કે, ‘મહિલાઓના પાલવ સુધી વાત પહોંચાડવી એ ભાજપ નેતાનો અતિ અભદ્ર વ્યવહાર.’ તેમણે ઠાકોર સમાજની દીકરી અને દલિત સમાજના નેતાનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. વિવાદ વકર્યો છે કે, ત્યારે જગદીશ વિશ્વકર્મા તાત્કાલિક જાહેરમાં માફી માંગે તેવી માગ ઉઠી છે.



