જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર ચર્ચા તેજ | Jamnagar Corporation office bearers’ selection process: Discussion on names for mayor

![]()
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ 60 કોર્પોરેટરો વિજેતા બનતાં હવે શહેરના શાસન માટેના મહત્વપૂર્ણ હોદેદારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. ખાસ કરીને આ વખતે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાને કારણે સિનિયર મહિલા કોર્પોરેટરોના નામોને લઈને રાજકીય ગતિવિધિઓમાં ચહલપહલ જોવા મળી રહી છે.
મેયર પદ માટે વોર્ડ નંબર 9માંથી ચૂંટાયેલી મોનિકાબેન વ્યાસનું નામ મુખ્ય રીતે ચર્ચામાં છે. તેઓ ભાજપના સંગઠન અને સંઘ પરિવાર સાથે લાંબા સમયથી સંકળાયેલા હોવાને કારણે તેમની દાવેદારી મજબૂત માનવામાં આવે છે. ઉપરાંત વોર્ડ નંબર 8માંથી સતત બીજી વખત વિજેતા બનેલી તૃપ્તિબેન ખેતિયા તેમજ વોર્ડ નંબર 16માંથી પ્રભાવશાળી જીત નોંધાવનાર ખ્યાતિબેન મૂંગરાના નામોની પણ ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે પણ વિવિધ નામો સામે આવી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષ જોશી, સામાજિક ક્ષેત્રમાં સક્રિય આશિષ જોશી સહિત વોર્ડ નંબર 16માંથી સર્વગ્રાહી જીત મેળવનારા પાટીદાર અગ્રણી પાર્થ કોટડીયાના ઉપરાંત ભાનુશાળી સમાજમાંથી સુરેશભાઈ આલરીયાના નામો ચર્ચામાં છે. સાથે જ પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓમાં સંજય મુંગરાના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
વોર્ડ નંબર 4માંથી કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર આગેવાન જીતેશ શીંગાળા તેમજ વોર્ડ નંબર 1માંથી ભાજપનો ઐતિહાસિક વિજય નોંધાવનાર અમર મોદી માટે પણ મહત્વના હોદ્દાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ શાસક પક્ષમાં એકમાત્ર ક્ષત્રિય કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા જયરાજસિંહ જાડેજાના નામને પણ કોઈ પદ પર સ્થાન મળવાની અટકળો ચાલી રહી છે.
જામનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ પાંચ મહત્વના હોદ્દાઓ માટે ભાજપના ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મંત્રણાઓ શરૂ કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ચર્ચા-વિચારણા બાદ આગામી સોમવારે આ તમામ હોદેદારોના નામોની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



