‘ભારતનો કોહિનૂર હીરો પાછો આપો…’ અમેરિકાથી ઝોહરાન મમદાનીએ ઉઠાવ્યો અવાજ | new york mayor zohran mamdani encourages king charles to return kohinoor diamond to india

![]()
Zohran Mamdani On Kohinoor Diamond: ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ સાબિત કરી દીધું છે કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય પરંતુ તેઓ પોતાની ભારતીય પરંપરાઓથી વિમુખ નથી થયા અને તેમનું દિલ આજે પણ હિન્દુસ્તાની છે. બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય હાલમાં અમેરિકાના પ્રવાસે છે, ત્યારે મમદાનીએ બુધવારે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે જો મારી કિંગ ચાર્લ્સ સાથે વાતચીત થશે તો તે માત્ર ઔપચારિક નહીં હોય. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે, તમે રાજાને શું કહેશો? ત્યારે તેમણે સામાન્ય શિષ્ટાચાર છોડીને બ્રિટનને તેના કાળા ભૂતકાળની યાદ અપાવી કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો
મમદાનીએ કોઈપણ ખચકાટ વિના કહ્યું કે, ‘જો હું રાજા સાથે વાત કરું… તો હું કદાચ તેમને ભારતનો કોહિનૂર હીરો પરત કરવા માટે કહીશ.’
મમદાનીના નિવેદને આ ચર્ચામાં ઈતિહાસનો મુદ્દો જોડી દીધો
નોંધનીય છે કે, મમદાનીના માતા મીરા નાયર ભારતમાં જન્મ્યા હતા અને અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ યુગાન્ડામાં મેયરના પિતા મહમૂદ મમદાની સાથે રહ્યા હતા. સામાન્ય રીતે મેયર અને બ્રિટિશ રાજવી પરિવાર વચ્ચેની વાતચીત કડક નિયમો અને “નરમ રાજદ્વારી” હેઠળ થતી હોય છે, પરંતુ મમદાનીના નિવેદને આ ચર્ચામાં ઈતિહાસનો મુદ્દો જોડી દીધો છે.
મમદાનીના આ નિવેદન બાદ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની ક્વીન કેમિલા બુધવારે ન્યૂયોર્કના વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગયા હતા, જ્યાં 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાની 25મી વરસી મનાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મમદાની પણ સામેલ થયા હતા.
ભારતનો કોહિનૂર
કોહિનૂર માત્ર એક હીરો નથી, પરંતુ તે સાંસ્કૃતિક ગૌરવ અને પીડા બંનેનું પ્રતીક છે. ભારતની કોલ્લૂર ખાણમાંથી નીકળેલો આ હીરો (કટિંગ પહેલા) અંદાજે 186 કેરેટનો હતો અને તે મુઘલો તથા શીખ સહિત અનેક ભારતીય રાજવંશો પાસે રહ્યો હતો. 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ બાદ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 10 વર્ષના મહારાજા દલીપ સિંહ પાસે બળજબરીથી લાહોરની સંધિ પર હસ્તાક્ષર કરાવ્યા હતા, જેના હેઠળ આ હીરો રાણી વિક્ટોરિયાને આપી દેવામાં આવ્યો હતો.
આજે આ 105.6 કેરેટનો હીરો ક્વીન એલિઝાબેથ (ક્વીન મધર)ના તાજમાં જડેલો છે અને લંડનના ટાવર ઓફ લંડનમાં મજબૂત કાચની પાછળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. ભારત માટે કોહિનૂર ‘સૌથી મોટો પરત ન કરાયેલો ખજાનો’ માનવામાં આવે છે. મમદાનીની વાત ભારતીય વસ્તીના એક મોટા વર્ગની ભાવના સાથે મેળ ખાય છે, જે તેને કાયદેસરની ભેટ નહીં પરંતુ લૂંટાયેલો ખજાનો માને છે.
ઘણા ભારતીયો માટે લંડનમાં આ હીરાની હાજરી આજે પણ વસાહતી યુગમાં થયેલા “ધન શોષણ”ની યાદ અપાવે છે. બ્રિટિશ સરકારે સતત કહી રહી છે કે આ હીરો કાનૂની સંધિ દ્વારા મળ્યો હતો, જ્યારે ભારતીય ઈતિહાસકારોનું કહેવું કે બાળક પાસેથી દબાણ હેઠળ કરાયેલા કરારની કોઈ નૈતિક કે કાનૂની માન્યતા નથી હોતી. મમદાનીની આ માગ એકલી નથી. ગ્રીસ (એલ્ગિન માર્બલ્સ) અને આફ્રિકા (બેનિન બ્રોન્ઝ)થી પણ અવાજ ઉઠી રહ્યો છે કે, પશ્ચિમી સંગ્રહાલયો અને રાજવી પરિવારો તેમની ઐતિહાસિક વસ્તુઓ પરત કરો.



