ટ્રમ્પ અને પુતિન વચ્ચે શું રંધાઈ રહ્યું છે…. 90 મિનિટની ટેલિફોનિક વાતચીતમાં ઈરાન મુદ્દે પણ ચર્ચા | Putin and Trump Hold 90 Minute Call Discuss Ukraine Iran and Security Breach

Putin and Trump Hold 90-Minute Call: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં 90 મિનિટથી વધુ સમય સુધી ફોન પર લાંબી વાતચીત થઈ હતી. ક્રેમલિન દ્વારા આ સંવાદને અત્યંત મૈત્રીપૂર્ણ અને અસરકારક ગણાવવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ વાતચીતમાં બંને નેતાઓએ ઈરાન યુદ્ધ, યુક્રેન વિવાદ અને વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં ટ્રમ્પ પર થયેલા હુમલાના પ્રયાસ જેવા મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
ઈરાન મામલે રશિયાએ રજૂ કર્યો નવો પ્લાન
ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવના જણાવ્યા અનુસાર, પુતિને વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી હતી અને આ ઘટના બાદ તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને સીઝફાયર વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હતી. પુતિને ઈરાન મામલે કેટલાક નક્કર પ્રસ્તાવ પણ ટ્રમ્પ સમક્ષ રજૂ કર્યા હતા, જેના પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.
‘વિજય દિવસ’ પર સંઘર્ષ-વિરામની તૈયારી
યુક્રેન સંઘર્ષના મુદ્દે પણ આ વાતચીતમાં મહત્ત્વની પ્રગતિ જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા અને સંભવિત સમજૂતી સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. જોકે, પુતિને આ દરમિયાન યુક્રેન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેઓ ‘આતંકવાદી પદ્ધતિઓ’નો ઉપયોગ કરી રહ્યા છે. વધુમાં, પુતિને મે મહિનામાં યોજાનારા આગામી ‘વિજય દિવસ'(Victory Day) સપ્તાહ દરમિયાન સંઘર્ષ-વિરામ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ટ્રમ્પે સહમતિ દર્શાવી હતી.
રશિયા-અમેરિકા વચ્ચે વ્યૂહનીતિના રસ્તા ખુલ્યા
આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશનના ડિનર દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. એક 31 વર્ષીય સશસ્ત્ર વ્યક્તિએ તે હોટલમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં અમેરિકન પ્રમુખ હાજર હતા. આ ઘટનાએ સુરક્ષા પ્રોટોકોલ સામે સવાલો ઉભા કર્યા છે, તેમ છતાં રશિયા અને અમેરિકાના નેતાઓ વચ્ચેની આ વાતચીત ભવિષ્યમાં આર્થિક અને ઊર્જા સહયોગની નવી તકો ખોલી શકે છે તેવું મનાય રહ્યું છે. આ સંવાદ બંને દેશો વચ્ચેના તણાવ છતાં વ્યૂહનીતિના રસ્તાઓ ખુલ્લા રાખવાનો એક મહત્ત્વનો સંકેત છે.




