गुजरात

ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી, જાણો શું છે સમગ્ર મામલો | Bharuch News Zhaghadia GIDC Fire Dispute MLA Chaitar Vasava and family of deceased viral video



MLA Chaitar Vasava Viral Video: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં 23 એપ્રિલના રોજ સર્જાયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો. આ પ્રચંડ ધડાકા બાદ ફાટી નીકળેલી આગમાં 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી રાકેશ વસાવા નામના યુવક સહિત 2 લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ દેડિયાપાડાના ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી. 

ધારાસભ્ય અને મૃતકના સંબંધી વચ્ચે મારામારી

ધારાસભ્યની હાજરીથી રોષે ભરાયેલા મૃતક રાકેશ વસાવાના પરિવારજનોમાંથી એક વ્યક્તિએ તેમનો સખત વિરોધ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે પોલીસની હાજરીમાં જ રોશન વસાવા નામના વ્યક્તિ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી, ઉગ્ર બોલાચાલી બાદ ચૈતર વસાવાએ મૃતકના સંબંધી રોશને લાફો ઝીંકી દીધો હતો બાદમાં રોશને પણ ધારાસભ્ય સામે હાથ ઉગામ્યો હતો અને ધોલધપાટ થઈ હતી. પીડિત પરિવારે ધારાસભ્યને ત્યાંથી ચાલ્યા જવા માટે સ્પષ્ટ કહી દીધું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ભારે ચકચાર મચી છે.

લાફાકાંડ પર ચૈતર વસાવાનું નિવેદન

આ ઘટના અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કંપનીની બેદરકારીથી બે કામદારોના મોત થયા છે અને 14 હજુ ઘાયલ છે. તેમણે દાવો કર્યો કે પીડિત પરિવારોએ ન્યાય માટે તેમનો સંપર્ક કર્યો હતો અને તેઓ 15 લાખના વળતરથી સહમત ન હોવાથી મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૈતર વસાવાએ પોલીસની કામગીરીને શંકાસ્પદ ગણાવતા કહ્યું કે, પોલીસની હાજરીમાં જ તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી અને પોલીસે જાહેરનામાના બહાને લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ અને કંપનીએ મળીને પીડિત પરિવારો સાથે કોઈ લેવાદેવા ન હોય તેવા લોકોને લાવીને તેમની સાથે વિવાદ કરાવ્યો હતો અને ખોટા વીડિયો બનાવ્યા હતા.

કંપનીએ અમને બાહેંધરી આપી છે: મૃતકનો કૌટુંબિક ભાઈ

બીજી તરફ, મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈએ ધારાસભ્યના આક્ષેપોને નકારી કાઢતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે કંપનીના ડાયરેક્ટર અને પોલીસ સાથેની વાતચીતમાં પરિવાર સહમત છે અને કંપની વળતર તેમજ ભવિષ્યની આર્થિક સહાય માટે પણ તૈયાર છે. કૌટુંબિક ભાઈએ એ પણ દાવો કર્યો કે કંપની તરફથી બાહેંધરી મળી છે કે તમારે એક સાથે પૈસા જોતા હોય તો તે રીતે અથવા સર્વિસના વર્ષો સુધી મહિને પગાર તેમજ નિયમ મુજબ પાંચ ટકાનો વધારો કરીને પણ ચૂકવવા તૈયાર છે. સાથે ડબ્લ્યુસીના 15 લાખ આપવા પણ તૈયાર છે.

‘ભાઈ, તારે હીરો બનવાની જરૂર નથી, અહીં બધા જાગૃત જ છે.’

મૃતકના ભાઈએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘ભાઈ, તારે હીરો બનવાની જરૂર નથી, અહીં બધા જાગૃત જ છે.’ તેમણે આક્ષેપ કર્યો કે ધારાસભ્ય સમાજ માટે નહીં પણ માત્ર પૈસા માટે આવ્યા છે અને લોકોને ઉશ્કેરી રહ્યા છે. જો આગામી સમયમાં કોઈ હુલ્લડ કે અનિચ્છનીય ઘટના બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ચૈતર વસાવાની રહેશે તેમ પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

‘ન્યાય મળે, યોગ્ય વળતર મળે અને કંપની મેનેજમેન્ટ વાત કરે’

દેડિયાપાડાના ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, ‘ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર અમે ઊભા છીએ. 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીં બ્લાસ્ટ થયો હતો અને તેમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કંપની મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કર્મચારીઓના કોઈપણ પ્રકારના બિલ ભરવામાં આવ્યા નથી, જેના કારણે બે દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું અને આજે બીજા કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. હાલમાં 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે. અમે તમામ પરિવારજનો સાથે અહીં એટલા માટે ઊભા છીએ કે તેમને ન્યાય મળે, યોગ્ય વળતર મળે અને કંપની મેનેજમેન્ટ તેમની સાથે વાત કરે. પરંતુ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા પરિવારજનો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી. ઉલટાનું, પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો અને મૃતકોના પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. PI દ્વારા સૂચના આપી લાઠીચાર્જ કરાવવામાં આવ્યો અને કેટલાક લોકોને લાઠીઓ મારીને ત્યાંથી દૂર કરવામાં આવ્યા.’

30 તારીખે ન્યાય માટે ભેગા થઈશું: ચૈતર વસાવા

ચૈતર વસાવાએ કહ્યું કે ‘અમારી લાગણી અને માંગણી છે કે એક ને એક દીકરાઓ ગુમાવનારા આ પરિવારોમાં નાના નાના બાળકો છે અને તેમનો પરિવાર આજે રડી રહ્યો છે. મૃતદેહો બે દિવસથી PM રૂમમાં છે. ત્યારે કંપની મેનેજમેન્ટ તાત્કાલિક યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ અને આ વિસ્તારની તમામ GIDCના કામદારોને અમે આહ્વાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ભેગા થવા માટેની જાહેરાત કરવામાં આવશે. ૩૦ તારીખે તમામ કામદારો એક દિવસની રજા લઈને આ કંપની પર હાજર થશે અને ન્યાયની લડત લડશે.’





Source link

Related Articles

Back to top button