‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા | Surat Elections AAP candidates allegedly sign No Defection affidavits

![]()
Surat Elections: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ‘આપ’ના ઉમેદવારો પાસે પક્ષ દ્વારા જીત્યા બાદ પક્ષપલટો નહીં કરે તેવી એફિડેવિટ લઈ લેવામાં આવી હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. જોકે, હજુ સુધી ‘આપ’ દ્વારા એફિડેવિટ અંગે સત્તાવાર ખુલાસો કરાયો નથી પણ ‘આપ’ના વર્તુળમાં જ એફિડેવિટ લીધી હોવાની ચર્ચા આજે રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોના પક્ષપલટા બાદ આ એફિડેવિટની જોરશોરમાં ચર્ચા શરુ થઈ ગઈ છે.
સુરત પાલિકાની ગત ચૂંટણીમાં ‘આપ’ 27 બેઠક સાથે વિપક્ષમાં આવ્યું હતું પરંતુ થોડા જ સમયમાં ‘આપ’ના એક બાદ એક 14 કોર્પોરેટરોએ ઝાડુ છોડી કમળ પકડી લીધું હતું. ‘આપ’ના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાના કારણે પક્ષની ઇમેજનું ધોવાણ થયું હતું. કટ્ટર ઇમાનદાર પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં વેચાઈ ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ‘આપ’ આક્રમક લડી રહ્યું છે પરંતુ તેમના જીતેલા કોર્પોરેટરો વેચાઈ ગયાનો સોશિયલ મીડિયામાં કટાક્ષનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
દરમિયાન આજે રાષ્ટ્રીય સ્તરે ‘આપ’ના રાઘવ ચઢ્ઢા સહિતના સાત સાંસદો ભાજપમાં જોડાતાં સુરતના ‘આપ’ના કોર્પોરેટરોથી માંડી સાંસદો સુધીનાને ‘આપ’માંથી જીત્યા બાદ પક્ષપલટાનો રોગ લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરતમાં ફરીથી ‘આપ’ના કોર્પોરેટર જીતે અને ભાજપમાં જતા રહે તેવી શક્યતા પહેલાથી જ વ્યક્ત થતી હતી. જેના કારણે ‘આપ’ દ્વારા ઉમેદવારોની પસંદગી બાદ પાર્ટી મેન્ડેટ આપતી વખતે જ આ વખતે ‘જીત્યા બાદ આપનો સાથ છોડીશું નહીં, પક્ષપલટો કરીશું નહીં’ તે બાબતની બાંહેધરી-એફિડેવિટ તમામ ઉમેદવારો પાસે લઈ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જોકે, પક્ષ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે એફિડેવિટ અંગે ચાલતી ચર્ચા વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ ‘આપ’ના વર્તુળમાં જ ઉમેદવારો પાસે એફિડેવિટ લીધી હોવાનું રાઘવ ચઢ્ઢાના પક્ષપલટા બાદ જોરશોરમાં ચર્ચાઈ રહ્યું છે.



