બાલેન શાહના આદેશના કારણે ભારત-નેપાળ બોર્ડર પર વિવાદ! વેપારીઓ અને સામાન્ય જનતામાં ભારે રોષ | india nepal border custom tax controversy balen shah news

![]()
India Nepal Border: ભારત અને નેપાળ વચ્ચેના વર્ષો જૂના રોટી-બેટીના સંબંધોમાં અત્યારે કડવાશ જોવા મળી રહી છે. નેપાળની નવયુવાન સરકાર અને બાલેન શાહના નેતૃત્વવાળી ટીમે સરહદ પર કસ્ટમ નિયમો અત્યંત કડક બનાવતા રક્સૌલ-બીરગંજ બોર્ડર પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
શું છે નવો નિયમ?
નેપાળ સરકારે ભન્સાર મહેસૂલ અધિનિયમ 2081 હેઠળ જાહેરાત કરી છે કે, હવે ભારતથી નેપાળમાં પ્રવેશતી વખતે રૂ.100 થી વધુની કિંમતનો સામાન લાવનાર વ્યક્તિએ કસ્ટમ ડ્યુટી (ભન્સાર શુલ્ક) ચૂકવવો પડશે. બીરગંજ સરહદ પર આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) દ્વારા માઈકિંગ કરીને આ અંગે સતત ચેતવણી આપવામાં આવી રહી છે. સામાન્ય જનતા અને મહિલાઓના બજેટ પર ફટકો પડી રહ્યો છે. નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો, ખાસ કરીને મહિલાઓ, ઘરવખરીનો સામાન ખરીદવા માટે બિહારના સરહદી શહેરોમાં આવતા હતા. નેપાળમાં મોંઘવારી વધારે હોવાથી લોકો બિહારથી સસ્તો સામાન ખરીદતા હતા. હવે APF ના જવાનો દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે.
અઘોષિત નાકાબંધી જેવા આક્ષેપો
આ કડક નિયમ સામે જન અધિકાર પાર્ટી અને અન્ય સંગઠનોએ વિરોધ શરૂ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ ડો. શરદ સિંહ યાદવના નેતૃત્વમાં શંકરાચાર્ય ગેટ અને વીરગંજ બોર્ડર પર જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોનું કહેવું છે કે, મહેસૂલના નામે સાંસ્કૃતિક સંબંધોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આને મધેશ ક્ષેત્ર માટે અઘોષિત નાકાબંધી ગણાવાઈ રહી છે.
સત્તા પક્ષમાં પણ અસંતોષ
માત્ર જનતા જ નહીં, પરંતુ નેપાળના સત્તા પક્ષમાં પણ આ નીતિનો વિરોધ શરૂ થયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના સાંસદોએ વડાપ્રધાન બાલેન શાહ અને ગૃહમંત્રી પાસે આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. કાઠમાંડુમાં પણ આ ટેક્સ નીતિ સામે દેખાવો થઈ રહ્યા છે.
અધિકારીઓ અને વેપારી સંગઠનોનું વલણ
વધતા તણાવને જોઈને મધેશ પ્રદેશના પોલીસ પ્રમુખ DIG ગોવિંદ થપલિયાએ પોલીસને સૂચના આપી છે કે ઘરેલું સામાન લાવતા નાગરિકોને બિનજરૂરી પરેશાન ન કરવા અને સંવેદનશીલતા રાખવી. બીરગંજ ઉદ્યોગ વાણિજ્ય સંઘના ઉપાધ્યક્ષ માધવ રાજપાલનું માનવું છે કે શરૂઆતમાં તકલીફ પડશે, પરંતુ લાંબા ગાળે આનાથી નેપાળના સ્થાનિક વેપારને ફાયદો થશે. સરકાર આ પગલાને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેનું પગલું ગણાવી રહી છે, પરંતુ સરહદી વિસ્તારોમાં આ આર્થિક અને માનસિક તણાવનું કારણ બની રહ્યું છે.



