ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Commute Now ‘On Duty’: Gujarat HC Expands Employee Rights in Accident Cases

![]()
Gujarat HC verdict: ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે.
નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય
જસ્ટિસ જે.સી.દોશીએ દેવશાલા સામે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય. હાઈકોર્ટે આ કેસમાં વીમા કંપની અને વાહનમાલિકની ફર્સ્ટ અપીલો આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી અને વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ યોગ્ય તપાસ બાદ મૃતકના વારસદારોને તાત્કાલિક ચૂકવી દેવામાં આવે.
કેસની વિગતો મુજબ, સુરતમાં સાલાસર પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિલીવરી ક્લાર્ક તરીકે કામ કરતાં વિજયકુમાર ચંપકલાલ વાંકાલાનું 3-5-2002ના રોજ નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે રસ્તામાં અકસ્માત સર્જાતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સરદાર માર્કેટ પાસે એક ટેમ્પોચાલકે તેમને ટક્કર મારી હતી. મૃતકના પરિવારજનો તરફથી કરાયેલા દાવામાં વર્કમેન કમિશનર દ્વારા વર્ષ 2006માં મૃતકના પરિવારજનોને 2,88,210 રૂપિયા વ્યાજ સાથે અને 50 ટકા પેનલ્ટી એટલે કે, બીજા વધારાના 1,44,105 રૂપિયા ચૂકવવાનો વીમા કંપની અને માલિકને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ વાહન માલિક અને વીમા કંપની દ્વારા હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નંબર-2994/2007 દાખલ કરાઈ હતી. જેનો સખત વિરોધ કરતાં મૃતકના પરિવારજનો તરફથી જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જો કોઈ વ્યક્તિ નોકરી પર પહોંચતી વખતે અથવા તેની સેવા પૂર્ણ કર્યા પછી ધરે પહોંચતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો તે રોજગારના સૈધ્ધાંતિક વિસ્તારણના દાયરામાં આવે છે અને તેથી કર્મચારી વળતર અધિનિયમ, 1923 હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર ઠરે છે. મૃતકના વારસોની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ કર્મચારીઓ અને કામદારો માટે બહુ રાહતભર્યો અને માર્ગદર્શક ચુકાદો જોરી કર્યો હતો.
વીમા કંપનીની દલીલો હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી
આ કેસમાં વીમા કંપની તરફથી બચાવ કરતી દલીલો કરાઈ કે, મૃતક વિજયકુમાર અકસ્માત સર્જાયો ત્યારે ફરજ પર ન હતા અને તેથી તેમને વળતર ચૂકવવા માટે વીમા કંપની જવાબદાર નથી. વળી, રકમ પાંચ લાખથી ઓછી હોવાના કારણે તેમ જ કાયદાકીય જોગવાઈ જોતાં પણ મૃતકના આશ્રિતોને વળતર મળી શકે નહી. જો કે, જસ્ટિસ જે.સી.દોશીએ વીમા કંપનીની દલીલો ધરાર ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય અને તેથી વીમા કંપનીની દલીલો ગ્રાહ્ય રાખી શકાય નહી.
કેસમાં હાઇકોર્ટના મહત્ત્વપૂર્ણ અવલોકનો
•જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય.
•આવા કિસ્સામાં નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગાર સૈદ્ધાંતિક વિસ્તરણ)ની જોગવાઈ લાગુ પડે.
•નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય.
•હાઇકોર્ટે સુપ્રીમકોટના દેવશાલા વિરૂદ્ધ ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા મહત્ત્વનો ચુકાદો આપ્યો.
•કર્મચારી વળતર અધિનિયમ હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર.



