છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits suicide

![]()
વડોદરા, છૂટાછેડા થયા પછી એકલા રહેતા ખાનગી કંપનીનના આસિસ્ટન્ટ મેનેજરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ રોયલ સ્કૂલની બાજુમાં અમરદિપ હેરિટેજમાં રહેતો ૩૪ વર્ષનો હિરેનકુમાર હીરાલાલ ચૌહાણ ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. પત્ની સાથે મતભેદ થતા ૮ મહિના પહેલા જ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તે એકલો જ રહેતો હતો અને સતત ટેન્શનમાં હતો. તેના માતા અને ભાઇ નવસારીમાં રહે છે. ગઇકાલ રાત્રિથી જ હિરેન માતાને ફોન કરીને કહેતો હતો કે, તમે વડોદરા આવો, હું બીમાર છું. સવારે છ વાગ્યે તેની માતા અખાત્રીજની પૂજાની તૈયારી કરતી હતી. ત્યારે પણ હિરેને ફોન કરીને કહ્યું કે, તમે જલદી આવો. જેથી, પરિવારજનો તાત્કાલિક વડોદરા આવવા નીકળ્યા હતા. હિરેનના ઘરે પહોંચીને જોયું તો તેણે ચાદર વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. બાપોદ પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



