છોટા ઉદેપુર: નોકરીએ જવા નીકળેલા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્ષેપ કરી ન્યાયિક તપાસની માંગ કરી | Suspicious Death in Chhota Udepur: Family Demands Fair Investigation

![]()
Suspicious Death in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં એક યુવાનના મોતના મામલે ભારે રહસ્ય સર્જાયું છે. મુસેટ જામલી ગામનો યુવાન નોકરીએ જવા નીકળ્યા બાદ તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસ આ ઘટનાને પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત ગણાવી રહી છે, જ્યારે પરિવારે પુત્રની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
સવારે નોકરીએ નીકળ્યો અને સાંજે લાશ મળી
મળતી માહિતી મુજબ, મુસેટ જામલી ગામનો રહેવાસી નિલેશ જેસિંગ વણકર એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. રોજની જેમ સવારે તે પોતાની બાઈક લઈને નોકરી માટે ઘરેથી નીકળ્યો હતો. જોકે, દિવસ દરમિયાન પરિવારજનોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિલેશનો ફોન ઉપડ્યો નહોતો અને બીજો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. ચિંતાતુર પરિવારે ઓફિસ સહિતના સ્થળોએ તપાસ કરી છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો.
ઉમઠી ગામ પાસે રોડ પરથી મળ્યો મૃતદેહ
સાંજના સમયે ગામના સરપંચનો પરિવાર પર ફોન આવ્યો અને તેમને ઉમઠી ગામ પાસે વખતગઢ રોડ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં રસ્તાની બાજુમાં નિલેશ તેની બાઈક પાસે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને કવાંટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હત્યા કે અકસ્માત?
નિલેશના પિતા અને પરિવારજનોનું માનવું છે કે નિલેશની હત્યા કરવામાં આવી છે. તેમણે આ મામલે તટસ્થ અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં આ બનાવ બાઈક અકસ્માતનો જણાય છે. માથા અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે યુવાનનું મોત થયું હોવાની શક્યતા છે.
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે સત્ય શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.



