અમદાવાદમાં હેરિટેજ હોમ્સનુ સંરક્ષણકરવાના બદલે પાંચથી વધુ હેરિટેજ હોમ્સના ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાયા | Instead of conserving heritage homes in Ahmedabad

![]()
અમદાવાદ,શુક્રવાર,17
એપ્રિલ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના એસ્ટેટ
-ટી.ડી.ઓ.વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા શહેરના કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ
હોમ્સનુ સંરક્ષણ કરવાના બદલે તેમાં કરવામા આવેલા ગેરકાયદેસર બાંધકામને ઈમ્પેકટ ફી
વસૂલીને કાયદેસર કરાયા હોવાનુ કૌંભાડ સામે આવ્યુ છે.હેરિટેજ હોમ્સમાં વધારાના
બાંધકામ અને યુઝ ઓફ ચેઈન્જના કિસ્સામાં ઈમ્પેકટ ફી વસૂલીને રેગ્યુલરાઈઝ કરવાની
સાથે ઈમ્પેકટ ફીના સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દેવાનો વિવાદ સામે આવ્યો છે.આ સમગ્ર
કૌભાંડમાં મોટા પાયે કટકી કરાઈ હોવાની મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી
રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે કે,જે
અધિકારીના નાક નીચે આ કૌભાંડ થયુ તે જ ગેરરીતી અંગે રીપોર્ટ તૈયાર કરે
છે.કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓને બચાવવા ખેલ ચાલી રહયો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં સૌથી ચર્ચાસ્પદ કિસ્સો
ખાડીયામાં આવેલી ઘાંચીની પોળના એક હેરિટેજ હોમ્સનો છે.આ હેરિટેજ હોમ્સના
રીનોવેશન-રીસ્ટોરેશનની મંજૂરી અપાઈ હતી.જે પછી આ હેરિટેજ હોમ્સમાં ચેન્જ ઓફ યુઝ કરીને કોમર્શિયલ બાંધકામ
કરી દેવામાં આવ્યુ હતુ.જો કે આ પછી હેરિટેજ હોમ્સની ઈમ્પેકટ ફી વસૂલી કોમર્શિયલ
બાંધકામને રેગ્યુલરાઈઝ કરી આપવામા આવ્યુ હતુ.સામાન્ય રીતે હેરિટેજ હોમ્સમાં થયેલા
વધારાના બાંધકામ કે ચેન્જ ઓફ યુઝના કેસમાં ઈમ્પેકટ ફી વસૂલવાની કામગીરી કરવી હોય
તો પહેલા હેરિટેજ વિભાગ તથા હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનો ઓપીનીયીન મેળવવો ફરજિયાત
છે.જો કે આ કીસ્સામાં આ પ્રક્રીયા પણ અનુસરવામા આવી નહોતી.ઈમ્પેકટફીની વસૂલાત
કરવામા આવી હતી.આ અંગે કોર્પોરેશનમાં અનેક ફરિયાદ થયા પછી તપાસ શરુ કરવામા આવી
હતી.તપાસમાં શહેરના કોટ વિસ્તારમાં આવેલા પાંચ હેરિટેજ હોમ્સમા ગેરકાયદેસર બાંધકામ
અને ચેન્જ ઓફ યુઝ છતાં ઈમેપેકટ ફી વસૂલી બાંધકામ રેગ્યુલરાઈઝ કરી આપવામા આવ્યા
હોવાની વિગત બહાર આવી હતી.આ અંગે હેરિટેજ વિભાગ દ્વારા પણ મધ્યઝોનના ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનરને કાયદેસરની પ્રક્રીયા કર્યા વગર ઈમ્પેકટ ફી વસૂલવામા આવી
હોવાની રજૂઆત કરવામા આવી છે.આ કીસ્સામા છેલ્લા છ મહિનાથી ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર દ્વારા તપાસ કરવામા આવી રહી છે.તપાસ દરમિયાન જુદા જુદા કીસ્સામા ગેરકાયદે
ઈમ્પેકટ ફી વસૂલ કરાઈ હોવાની વિગત સામે આવી છે.
મ્યુનિ.કમિશનરને રીપોર્ટ સબમીટ કરવાના બદલે દબાવી દેવાયો
આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા એસ્ટેટ અને ટાઉનપ્લાનિંગ
વિભાગના અધિકારીઓને બચાવવા માટે તપાસ રીપોર્ટ તૈયાર કરવામા આવ્યો છે.હજુ સુધી કોઈ
પોલીસ કેસ કે કાર્યવાહી કરવામા આવી નથી.મ્યુનિસિપલ કમિશનરને રીપોર્ટ સબમીટ કરવાના
બદલે આરોપી અધિકારીઓને બચાવવા રીપોર્ટ દબાવી દેવાયો હોવાનુ મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
નવ વર્ષમાં ૧૩૪ હેરિટેજ મકાનોનુ રિસ્ટોરેશન પુરુ કરાયુ
૮ જુલાઈ-૨૦૧૭ના રોજ
યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજજો આપવામા આવ્યો
હતો.શહેરમાં હેરિટેજ મકાનોનુ રિસ્ટોરેશન કરવામા આવે ત્યારે મકાનમાલિકોને
ટી.ડી.આર.આપવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.નવ વર્ષમાં શહેરમાં ૧૩૪ હેરિટેજ મકાનના
રિસ્ટોરેશનની કામગીરી પુરી કરાતા હેરિટેજ ટી.ડી.આર. સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામા આવેલા
છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગની મંજૂરી વગર લીસ્ટેડ હેરિટેજ મકાનોમાં
કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામા આવતો નથી.જો કે કોટ વિસ્તારમાં પાંચથી વધુ હેરિટેજ
હોમ્સમાં થયેલા ગેરકાયદે બાંધકામને ઈમ્પેકટ ફી વસૂલી રેગ્યુલરાઈઝ કરી આપવામા આવ્યા
હતા.



