પશ્ચિમ એશિયા યુદ્ધને લીધે સૌથી વધુ માઠી અસર શ્રીલંકાને થઈ છે : યુ.એન. | Sri Lanka has been the worst affected by the West Asian war: UN

![]()
– એશિયા પેસિફિકના 14 દેશોના 8.8 મિલિયન લોકો ગરીબીમાં ધકેલાશે
– શ્રીલંકામાં રોજના 9,976 પ્રવાસીઓ આવતા હતા તે સંખ્યા માર્ચ 1થી 8માં 5,956 જેટલી નીચી ગઈ છે : રીપોર્ટ
કોલંબો : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લીધે એશિયા- પેસિફિક વિસ્તારોમાં આવેલા દેશો પૈકી શ્રીલંકાને સૌથી વધુ માઠી અસર થઈ છે.
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ગુરૂવારે પ્રસિદ્ધ થયેલો અહેવાલ જણાવે છે કે, ‘મધ્ય-પૂર્વમાં વધી રહેલી લશ્કરી પ્રવૃત્તિઓની વૈશ્વિક વેપાર, એનર્જી માર્કેટ અને ફાયનાન્સીયલ સિસ્ટીમ ઉપર પણ ઘણી માઠી અસર થઈ છે. તેમાં યે, શ્રીલંકાને વધુ માઠી અસર થવાનું એક કારણ તે પણ છે કે, વિદેશોમાં જઈ રોજી રળવા જનારા શ્રીલંકન કામદારો તો મધ્ય-પૂર્વમાં જઈ રોજી રળી રહ્યા હતા તેમને સ્વદેશ પાછા ફરવું પડયુમ છે. તેથી દેશની કુલ આવકમાં ભારે મોટો ઘટાડો થયો છે. પહેલા રોજના ૯,૯૭૬ જેટલા પ્રવાસીઓ શ્રીલંકામાં આવતા હતા, તેમની સંખ્યામાં સીધો ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને માર્ચ ૧થી ૮ દરમિયાન રોજના ૫,૯૫૬ પ્રવાસીઓ જ આવ્યા હતા.
શ્રીલંકાની ચાની નિકાસ પણ તૂટી ગઈ છે તેમાં દર સપ્તાહે ૧ કરોડથી ૧.૫ કરોડ ડૉલર્સનો ફટકો પડયો છે.
શ્રીલંકા ઉપરાંત બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાનને પણ મધ્ય-પૂર્વમાં યુદ્ધને લીધે આવકમાં માર પડયો છે. સમગ્ર એશિયા પેસિફિક વિસ્તારની ગણતરી કરીએ તો ૯૭ બિલિયનથી ૨૯૯ બિલિયન જેટલી ખોટ તે વિસ્તારમાં પડે છે.
તેટલું જ નહીં પરંતુ તે વિસ્તારમાં રહેલા ૧૪ દેશો મળી ૮.૮ મિલિયન લોકો ગરીબીમાં ધકેલાઈ જશે તેવી ભીતિ છે તેમ પણ યુ.એન.ની તે સંસ્થાનો અહેવાલ જણાવે છે.



