ચૂંટણી સંગ્રામ – માંડવા નાંખવા માટે ઉમેદવારોએ પરવાનગી લેવી પડશે | Election campaign Candidates will have to seek permission to set up tents

![]()
મતદાન મથક નજીક મંડપ ઉભા કરી શકાશે નહીં
પોલિંગ બૂથની ૨૦૦ મીટર ત્રિજ્યામાં ચારથી વધુ માણસોને ભેગા થવા પર પ્રતિબંધ
ભાવનગર – ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ અને નિર્વિવાદિત રીતે થાય તે માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. મતદાનના દિવસે માંડવા નાંખવા માટે ઉમેદવારોએ પરવાનગી લેવી ફરજીયાત કરી દેવાઈ છે. આ ઉપરાંત પોલિંગ બૂથની ૨૦૦ ત્રિજ્યામાં ચારથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
મતદાન મથકની ૨૦૦ મીટરના અંત સુધીમાં કોઈપણ મંડપ બાંધવો નહીં અને એક જ મંડપ બાંધી શકાશે. તેમાં એક ટેબલ અને એક ખુરશી રાખી શકાશે. મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. માત્ર છત્રી કે તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે. મંડપ બાંધવા માંગતા ઉમેદવારોએ જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવવી અને સબંધિત ચૂંટણી અધિકારીને જાણ કરવી પડશે. મતદાન પ્રક્રિયામાં અડચણ ઉભી ન થાય તેની તકેદારી રાખવી, કાયદો વ્યવસ્થા જાળવવામાં અડચણ (હરકત) થશે તો મંડપ દૂર કરવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું છે.
તેમજ મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી અધિકારી-કર્મચારી, પોલીસ, હોમગાર્ડ, ઉમેદવારો, ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટ, ચૂંટણી અધિકારી-ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત કરાયેલ સ્ટાફ ઉપરાંત મતદારોને મત આપવા જતા-પરત આવવા સુધીના સયમ સુધીનાને લાગુ પડશે. બન્ને જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.



