गुजरात

ખંભાળિયાના દાત્રાણા ગામે કરૂણાંતિકા : 3 બાળકો તળાવમાં ડૂબ્યાં, 2ના મોત | Tragedy in Khambhaliya’s Datrana village: 3 children drown in a lake 2 die



સગા ભાઇ-બહેનના મોતથી પરિવાર હતપ્રત : ખેત શ્રમિકોના બાળકો વાડી પાસેના ખારીવાળા તળાવ નજીક રમતાં-રમતાં અકસ્માતે પાણીમાં ખાબક્યાં

જામ ખંભાળિયા, : ખંભાળિયા નજીકના દાત્રાણા ગામે રમતાં-રમતાં 3 બાળકો તળાવના પાણીમાં ખાબક્યાં હતા. ડૂબી જવાથી 7 વર્ષની બાળકી અને તેના 4 વર્ષના સગા ભાઇના કરૂણ  મોત નીપજ્યા હતા. જ્યારે તેઓની પિતરાઈ બહેન એવી એક નાની બાળકીને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવેલ છે. સગા ભાઇ-બહેનના મોતથી પરિવાર હતપ્રત બની ગયો છે.

આ કરૂણ બનાવની વિગત એવી છે કે મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ખેડા ફલિયા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા દેવશીભાઈ ગોગનભાઈ ચાવડા નામના એક આસામીની વાડીમાં રહી અને મજૂરી કામ કરતા થાનસિંહ ચીતુભાઈ ભીંડે નામના 32 વર્ષના  યુવાનની સાત વર્ષની પુત્રી વૈશાલી તથા 4 વર્ષનો પુત્ર વિકેશ થાનસિંહ ભીંડે તથા થાનસિંહ ભીંડેના સાળાની 2 વર્ષની પુત્રી કવિતા સાથે  ગત સાંજના સમયે ગામના એક ખેતરની બાજુમાં રમતાં હતા. રમતાં રમતાં અકસ્માતે  કેતરની બાજુમાં આવેલા ખારીવાળા તળાવમાં ખાબક્યા હતા, અને પાણીમાં ગરકાવ થયાં હતા. બનાવની જાણ થતા આજુબાજુના લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

પરંતુ વૈશાલી તથા તેના ભાઈ વિકેશના તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે  મોત નીપજ્યા હતા. જ્યારે બે વર્ષીય કવિતાને સારવાર અર્થે પહેલાં સ્થાનિક હોસ્પિટલમાં  બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ બનાવ અંગે મૃતક બાળકોના પિતા થાનસિંહેએ ખંભાળિયા પોલીસને જાણ કરતા બંને બાળકોના મૃતદેહોનું પી.એમ કરાયું હતું. માસુમ બાળકોના અપમૃત્યુના આ બનાવે પરિવારજનોમાં ભારે આક્રંદ સાથે નાના એવા દાત્રાણા ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.



Source link

Related Articles

Back to top button