સુરતમાં ભાજપના ગઢ એવા વેસુ-ભરથાણામાં પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓને પાછા કઢાયા | BJP leaders who went to campaign in Vesu Bharthana a BJP stronghold in Surat were sent back

![]()
Surat : સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપના ગઢ એવા રાંદેર-અઠવા ઝોનમાં પણ ભાજપને પ્રચાર દરમિયાન મતદારોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વોર્ડ નંબર 22માં પુર્વ ધારાસભ્ય સાથે ભાજપના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા જ્યાં એક સોસાયટીના રહીશોએ તેમની પાસે કામગીરીનો હિસાબ માગ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ખોબે ખોબે મત આપે છે પણ સોસાયટીને સુવિધા અપાતી નથી અને જે સુવિધા છે તે છીનવી લેવામાં આવી છે. તેવો આક્ષેપ કરી ઉમેદવારોને મતદારોએ મુંઝવી દીધા હતા. એવું કહીને સોસાયટીના ગેટ પર જ ઉમેદવારોને રોકી દીધા હતા અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી પણ આપી હતી.
સુરત પાલિકાના અઠવા ઝોનમાં ભાજપના ગઢ એવા વોર્ડ નં-22માં આવેલા આર્શીવાદ વિલાના ગેટ પર જ મતદાન બહિષ્કાર સહિત ઉમેદવારોએ પ્રવેશવું નહી તેવા બોર્ડ લાગ્યા છે. ગઈકાલે ભાજપના ઉમેદવારો પુર્વ ધારાસભ્ય સાથે પ્રચાર માટે સોસાયટીમાં ગયા હતા. જ્યાં તેઓને કડવો અનુભવ થયો હતો. ગેટ પર જ સોસાયટીના રહીશોએ ભાજપના નેતાઓ પાસે કામગીરી નો હિસાબ માગ્યો હતો.
2500 રહેવાસીઓ ધરાવતી આ સોસાયટી છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી છે. ડ્રેનેજ સિવાય કોઇ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ટી.પી. સ્કીમમાં ફેરફારોને કારણે સોસાયટીના મંજૂર રોડ પણ ખાનગી ફાઇનલ પ્લોટમાં ફેરવાયા હોવાની વાત સોસાયટીના રહીશોએ કરી છે. સોસાયટીના રહીશો કહે છે, છેલ્લા 20 વર્ષથી એકતરફી અને ખોબે ખોબા આપેલા મતોના બદલામાં ટી.પી. સ્કીમમાં અન્યાય કરી સોસાયટીને માત્ર ખોટા વચનો આપવામાં આવ્યા છે અને પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. સોસાયટી દ્વારા વર્ષ-2011માં આઇસીના નાણાં રૂપે 96 લાખ રૂપિયા જમા કરાવાયા હતા. આમ છતાં અત્યાર સુધી માત્ર પાણીની સુવિધા મળી શકી છે. તેથી ગેટ પર બેનરમાં લખ્યું છે બેનર પર લખાયું ખોટા વાયદા આપનારા રાજકીય પક્ષો કે ઉમેદવારોએ સોસાયટીમાં પ્રવેશવું નહીં.
આ સોસાયટીમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈ પાંચ વર્ષ જેટલો સમય રહી ચુક્યા છે અને તેઓ અહીની સમસ્યાથી વાકેફ છે. તેમ છતાં આ સોસાયટીની સમસ્યાનો હજી સુધી કોઈ હલ આવ્યો નથી. દર વખતે ચૂંટણીમાં મળતા ખોટા વાયદાથી સોસાયટીના રહીશો કંટાળી ગયા છે અને આગામી ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ગઈકાલે છેલ્લા 20 વર્ષમાં આ સોસાયટીને પાલિકાએ વેરો વસુલ કર્યો છે પરંતુ કઈ સુવિધા આપી તેનો હિસાબ માંગી ભાજપના ઉમેદવાર-નેતાઓને સોસાયટીમાં પ્રચાર કરવા દીધો ન હતો અને પરત મોકલી આપ્યા હતા.



