‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on Digital Fraud: Orders Nationwide SOP Implementation and CBI Probe

![]()
Supreme Court On Digital Fraud : દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.
રૂ.54,000 કરોડની સાયબર લૂંટ પર ચિંતા
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ.54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.
બેંક અધિકારીઓની ભૂમિકા પર સવાલ
અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બેંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.
CBIને તપાસના આદેશ
સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.
ભોગ બનનારને વળતર આપવા પર ભાર
કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતા હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.


