બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા | Hindus outraged by insult to Shri Ram in Bangladesh

![]()
– કટ્ટરવાદીઓ બેફામ બન્યા, રામના સ્ટેચ્યૂનો વિરોધ : ભારત સરકારનું મૌન
– બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓની દાદાગીરી સામે સરકાર ઝૂકી, 81 ફૂટ ઉંચા શ્રીરામના સ્ટેચ્યૂનું કામ અટકાવ્યું
– ઢાકા સહિતના શહેરોમાં જય શ્રીરામના નારા ગૂંજી ઉઠયા, હિન્દુઓનું સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ
ઢાકા : બાંગ્લાદેશમાં કટ્ટરવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે, રંગપુરમાં ભગવાન શ્રીરામની સૌથી ઉંચી મૂર્તિ બનાવવાને લઇને કટ્ટરવાદીઓ ભડક્યા છે અને અપમાન કરવા લાગ્યા છે. જેને પગલે હવે હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. કટ્ટરવાદીઓના વિરોધને પગલે હાલ આ મૂર્તિનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે. જેને પગલે રાજધાની ઢાકામાં હજારો હિન્દુઓએ મશાલ જુલૂસ કાઢ્યું હતું સાથે જ જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા. જો કે હિન્દુઓ પરના આવા અત્યાચારો
બાંગ્લાદેશના રંગપુરમાં ભગવાન શ્રી રામનું ૮૧ ફૂટ ઉંચુ સ્ટેચ્યૂ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જોકે આ સ્ટેચ્યૂના બાંધકામને કટ્ટરવાદીઓના વિરોધને પગલે અટકાવી દેવાયું હતું. બાંગ્લાદેશ પ્રશાસનને કટ્ટરવાદીઓ દ્વારા ધાક ધમકીઓ મળી રહી હતી, જેને પગલે બાદમાં તેનું કામ અટકાવી દેવાયું હતું. જેને પગલે હિન્દુ સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ મહાજ્યોતના બેનર હેઠળ ઢાકા સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં હિન્દુઓ રસ્તા પર ઉતર્યા હતા.
રંગપુરમાં હિન્દુઓની રેલીને પોલીસ અને કટ્ટરવાદીઓ દ્વારા અટકાવવામાં આવી હતી, પ્રદર્શનકારી હિન્દુઓએ જણાવ્યું હતું કે કટ્ટરવાદી ઇસ્લામીક જુથો ભગવાન શ્રી રામની છબી ખરાબ કરી રહ્યા છે, રામની તસવીરો પર જુતા રાખીને આ અપમાન કરવામાં આવ્યું છે. તારિક રેહમાનની બીએનપી સરકાર નિષ્ક્રિય અવસ્થામાં છે, અગાઉ હિન્દુઓ પર અત્યાચાર થયા, મંદિરો તોડવામાં આવ્યા, ઘરોને આગ લગાવી દેવાઇ હવે હિન્દુઓમાં લોકપ્રિય ભગવાન શ્રીરામનું અપમાન કરવા લાગ્યા છે. રવિવારે પણ આ વિરોધ પ્રદર્શનો યથાવત રખાશે. ભગવાન શ્રી રામના ૮૧ ફૂટના સ્ટેચ્યૂનું ૮૦ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. એવામાં કટ્ટરવાદીઓની સામે ઝૂકીને બાંગ્લાદેશ પ્રશાસને તેનું બાંધકામ અટકાવી દીધુ છે. ભગવાન રામ ઉપરાંત શ્રીકૃષ્ણનું ૫૦ ફૂટનું અને ભગવાન શિવનું ૩૦ ફૂટ સ્ટેચ્યૂ બનવા જઇ રહ્યું છે. હાલ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશ સરકારને ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ બેફામ, ભારતીય હાઇ કમિશન પર હુમલાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં કટ્ટરવાદી જમાત-એ-ઇસ્લામી સતત ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે. એક તરફ હિન્દુઓ રામના અપમાનને લઇને વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે જ્યારે જમાતના કટ્ટરવાદીઓ અને તેમના સંગઠનો-પક્ષો દ્વારા ઢાકામાં ભારતીય હાઇકમિશન પર હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહીં ભારતના નેતાઓના પુતળા પણ બાળ્યા હતા.
ભારતનો વિરોધ કરીને હિન્દુઓ સામે નફરત ફેલાવીને આ કટ્ટરવાદીઓએ બાંગ્લાદેશ આઝાદ પાર્ટી નામથી એક નવા મોરચાની જાહેરાત કરી હતી. શેખ હસીનાના શાસનના પતન બાદ બાંગ્લાદેશમાં ભારત વિરોધી કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે. હિન્દુઓ પર અવાર નવાર હુમલા થઇ રહ્યા છે.
રામની તસવીરને જૂતા મારતા કટ્ટરવાદીઓનો વીડિયો વાયરલ થયો
ઢાકા : બાંગ્લાદેશમાં રામના સ્ટેચ્યૂનો વિરોધ કરી રહેલા કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આ ઇસ્લામિક કટ્ટરવાદીઓ એક બેનરમાં ભગવાન શ્રી રામના આ સ્ટેચ્યૂની તસવીરને ચપ્પલો મારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ હિન્દુઓ વધુ ભડક્યા હતા.
જે વીડિયો સામે આવ્યા છે તેમાં અનેક કટ્ટરવાદીઓ હાથમાં રામનું બેનર પકડીને ઉભા છે જ્યારે મોટી સંખ્યામાં અન્ય કટ્ટરવાદીઓ ચપ્પલો મારી રહ્યા છે. બાદમાં તેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હિન્દુઓના ઘરો તોડયા, મંદિરો સળગાવ્યા અને હવે શ્રીરામનું જાહેરમાં અપમાન કરાઇ રહ્યું છે.



