નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર | Grand Felicitation for GB Solanki in Naswadi Unopposed Victory Claim Sparks Political Buzz

![]()
Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બરોડા ડેરીના નસવાડી ઝોનના બિનહરીફ વિજેતા ઉમેદવાર જી.બી. સોલંકીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આગામી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જી.બી. સોલંકીએ દાવો કર્યો છે કે ‘આ વખતે પણ બરોડા ડેરીમાં ભાજપ પ્રેરિત બોર્ડ બનશે અને અનેક બેઠકો બિનહરીફ થશે.’
6 બેઠકો બિનહરીફ થવાનો વિશ્વાસ
સન્માન સ્વીકારતા બરોડા ડેરીના માજી ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘નસવાડી ઝોનના મતદારો, ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ એકજૂથ થઈને મને બિનહરીફ ચૂંટ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ડેરીની કુલ 6 બેઠકો બિનહરીફ થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.’
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘હાલમાં પેનલના તમામ 13 ઉમેદવારોએ ભાજપ પાસે ટિકિટ માંગી છે. પક્ષ જેને પણ મેન્ડેટ આપશે, તેને વિજેતા બનાવીને ડેરીમાં ભાજપનું શાસન સ્થાપવામાં આવશે.’
દિનુ મામાનો વળતો પ્રહાર
આ પ્રસંગે હાજર રહેલા બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનુ મામાએ કેટલીક ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ વખતે તેમની પોતાની બેઠક બિનહરીફ થાય તેવી શક્યતા નથી અને ચૂંટણી લડવી પડશે. સાવલી તાલુકામાંથી તેમના પર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘અમે પશુપાલકોના હિતમાં કામ કર્યું છે અને બોડેલી તાલુકામાં 250 કરોડના વિકાસકામો કર્યા છે.’
પોતાની જ સામે મોરચો માંડનારા વિરોધીઓ સામે રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, ‘જે લોકો ગઈકાલ સુધી સાથે હતા તેઓ આજે વિરુદ્ધમાં છે. ખોટા આક્ષેપો કરનારાઓ સામે તેઓ 25 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરશે.’
સન્માન સમારોહમાં સંગઠન શક્તિનું પ્રદર્શન
નસવાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ચાર તાલુકાના ડેરી પ્રમુખો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક તરફ બિનહરીફ થવાનો આશાવાદ અને બીજી તરફ આક્ષેપ-પ્રતિઆક્ષેપના રાજકારણે પશુપાલકોમાં કુતૂહલ જગાડ્યું છે.



